મેરા ગુજરાત, ગીર સોમનાથ
સોમનાથ ક્ષેત્રના ઇતિહાસમાં પહેલી વખત ભારત અને ભારતીયતા ને ઉજાગર કરતો પાંચ દિવસીય લોક સાંસ્કૃતિક કાર્યક્રમ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથના સાનિધ્યમાં સમુદ્રકિનારે યોજાશે. આઝાદીકા અમૃત મહોત્સવ હેઠળ સંગીત નાટક અકાદમી નવી દિલ્હી દ્વારા આયોજિત અમૃત ધારા મહોત્સવમા આસામ, મણિપુર, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, તેલંગાણા, તમિલનાડુ સહિતના રાજ્યોમાંથી આવનાર ૩૫૦થી વધુ કલાકારો પરંપરાગત નૃત્ય અને ભક્તિમય સંગીતનીએ પ્રસ્તુતિ રજૂ કરશે.
આ અમૃત ધારા ઉત્સવ સંદર્ભે જાણકારી આપતા સંગીત નાટક અકાદમીના પ્રોગ્રામ ઓફિસર તેબા દેવીએ જણાવ્યું કે,
“ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલયમાં હેઠળની સ્વાયત સંસ્થા સંગીત નાટક એકેડમી દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ આયોજિત આ અમૃતસર સ્વર ધારા ઉત્સવ 26 માર્ચ થી 30 માર્ચ સુધી યોજાનાર છે. જેમાં દેશના ખૂણે ખૂણેથી ૩૫૦થી વધુ કલાકારોના 33 ગ્રુપ પોતાની લોક સંસ્કૃતિ પ્રદર્શિત કરશે. જેમાં ગાયન વાદન અને નૃત્યના ત્રિવેણી સંગમ દ્વારા ભગવાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં કલાસાધના કરાશે”
જિલ્લા વહીવટીતંત્ર ગીર સોમનાથ અને સોમનાથ ટ્રસ્ટના સહયોગ સાથે યોજાનાર અમૃતસર ધારા ઉત્સવ સંદર્ભે સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર શ્રી વિજયસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, સોમનાથ ચોપાટી ગ્રાઉન્ડ ખાતે યોજાનાર આ ઉત્સવનો સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી જે.ડી.પરમાર શુભારંભ કરાવશે. આ અમૃત સ્વરધારા ઉત્સવમાં સતત પાંચ દિવસ સુધી દેશભરના ખૂણે ખૂણેથી આવનાર કલાકારો ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતા કાર્યક્રમ રજૂ કરશે ગીર સોમનાથ જિલ્લાના નાગરિકો અને સોમનાથ આવતાં કલાપ્રેમી યાત્રીઓ માટે અવિસ્મરણીય અનૂભવ બની રહેશે. આ સાથે શ્રી ચાવડાએ સોમનાથના આંગણે આ ભવ્ય કાર્યક્રમ આયોજિત કરવા માટે સંગીત નાટક અકદમીનો આભાર વ્યક્ત કર્યો હતો.
પાંચ દિવસ સુધી સાંસ્કૃતિક જલસામાં પ્રતિદિન યોજાનાર કાર્યક્રમો
ઉત્સવના પ્રારંભિક દિવસે તા.૨૬ માર્ચના રોજ મણિપુરના ભૂમેશ્વર સહિં અને તેમનું ગ્રુપ પુંગ ચોલોમ અને ઠોલ ચોલોમ નૃત્ય રજૂ કરશે. દેવાસના કાલૂરામ બામન્યા અને તેમનુ ગ્રુપ નિર્ગુણી ભજન, રાયબરેલીના શીલૂસિંહ રાજપૂત અને તેમનુ ગ્રુપ આલ્હા ગાયન, રામનગરમના શિવમધુ અને તેમનો સમૂહ પૂજા કુનિથા નૃત્ય, અમદાવાદના રેમા શ્રીકાંત અને તેમનુ ગ્રુપ ભરતનાટ્યમ્, હૈદરાબાદના અમૃતા શીલ કૂચીપુડી, ભૂવનેશ્વરનું રુદ્રાક્ષ ફાઉન્ડેશન ઓડિસી નૃત્ય રજૂ કરશે.
અમૃત સ્વરધારા ઉત્સવના બીજા દિવસે તા.૨૭ માર્ચના દિલ્હીના પકલકુરી ઉન્નીકૃષ્ણ અને તેમનુ ગ્રુપ ચેંડા મેલમ વાદ્ય સહ નૃત્ય, રાયપુરના દુષ્યંત દ્વિવેદી અને તેમનુ ગ્રુપ પંડવાની લોકગાયન, ઉડ્ડીસાના વિભૂતિભૂષણ મોહંતા તથા લોકનાથ દાસ અને તેમનો સમૂહ મયુરભંજ છઉ, ઝારખંડના સુદીપ કુમાર કવિ અને તેમનુ ગ્રુપ સરાયકેલા છઉ નૃત્ય, ચૈન્નાઈના દિવ્યા શિવસુંદર ભારતનાટ્યમ્, કોચિનના હેમંત કુમાર અને તેમનો સમૂહ કથકલિ નૃત્ય અને ગાંધીનગરના નીતિન દવે અને તેમનુ ગ્રુપ ડાંડિયા રાસ પ્રસ્તુત કરશે.