પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 87 માં મન કી બાતના કાર્યક્રમમાં પાણીના મહત્વ વિષે સમજાવ્યું અને પાણી બચાવવા માટે પણ અપી કરાઈ છે. પ્રધાનમંત્રીએ પાણી બચાવવા માટે ચવાવાતા અભિયાન અને આવા જળ યોદ્ધાઓની વાત કરી હતી.
મુપટ્ટમ શ્રી નારાયણનજી, ઉનાળાની ગરમી દરમિયાન પશુ-પક્ષીઓને પાણીની તકલીફ ન પડે તે માટે માટીનાં વાસણો વહેંચવાનું અભિયાન ચલાવી રહ્યા છે. ઉનાળામાં તેઓ પશુ-પક્ષીઓની આ તકલીફ જોઈને પોતે પણ તકલીફ પામતા હતા. પછી તેમણે વિચાર્યું કે તેઓ પોતે જ કેમ માટીનાં વાસણો વહેંચવાનું શરૂ કરે, જેથી બીજા પાસે તે વાસણોમાં માત્ર પાણી ભરવાનું કામ રહે. તમને આશ્ચર્ય થશે કે નારાયણનજી દ્વારા વહેંચવામાં આવેલાં વાસણોનો આંકડો એક લાખને પાર કરવા જઈ રહ્યો છે. તેમના અભિયાનમાં એક લાખમું વાસણ તેઓ ગાંધીજી દ્વારા સ્થાપિત સાબરમતી આશ્રમને દાન કરશે. આજે જ્યારે ઉનાળાની ઋતુએ ટકોરા માર્યા છે તો નારાયણનજીનું આ કામ આપણને બધાને જરૂર પ્રેરિત કરશે અને આપણે પણ આ ઉનાળામાં આપણા પશુ-પક્ષી મિત્રો માટે પાણીની વ્યવસ્થા કરીશું.
પીએમ મોદીએ ‘મન કી બાત’ના શ્રોતાઓને પણ અનુરોધ કર્યો હતો કે, આપણે આપણા સંકલ્પોનો ફરી ઉચ્ચાર કરીએ. પાણીનું એક-એક ટીપું બચાવવા માટે આપણે જે પણ કંઈ કરી શકીએ તે આપણે જરૂર કરવું જોઈએ. તે ઉપરાંત પાણીના રિસાઇકલિંગ પર પણ આપણે એટલું જ જોર આપતા રહેવાનું છે. ઘરમાં વપરાયેલું પાણી કુંડામાં છોડને પાણી પાવા કામ આવી શકે છે. બગીચામાં કામ આવી શકે છે. તે જરૂર ફરી વપરાવું જોઈએ. થોડા પ્રયાસોથી તમે તમારા ઘરમાં આવી વ્યવસ્થાઓ બનાવી શકો છો. રહીમદાસજી, સદીઓ પહેલાં, કંઈક હેતુથી જ કહી ગયા હતા કે ‘રહિમન પાની રાખિએ, બિન પાની સબ સૂન’. અને પાણી બચાવવાના આ કામમાં મને બાળકો પાસે ઘણી આશા છે. સ્વચ્છતાને જે રીતે આપણાં બાળકોએ આંદોલન બનાવ્યું, તે જ રીતે ‘પાણી યૌદ્ધા’ બનાવીને, પાણી બનાવવામાં મદદ કરી શકે છે.
પીએમ મોદીએ વધુ ઉમેરતા જણાવ્યું કે, આપણા દેશમાં જળ સંરક્ષણ, જળ સ્રોતોની સુરક્ષા સદીઓથી સમાજના સ્વભાવનો હિસ્સો રહ્યો છે. મને આનંદ છે કે દેશમાં ઘણા લોકોએ પાણી જાળવવાને જ જીવનનું ધ્યેય બનાવી લીધું છે. જેમ કે ચેન્નાઈમાં એક સાથી છે અરુણ કૃષ્ણમૂર્તિજી. અરુણજી પોતાના વિસ્તારમાં તળાવોને સાફ કરવાનું અભિયાન ચલાવી રહ્યા છે. તેમણે 150 થી વધુ તળાવોની સફાઈની જવાબદારી ઉપાડી અને તેને સફળતા સાથે પૂરી કરી. આ જ રીતે, મહારાષ્ટ્રના એક સાથી રોહન કાળે છે. રોહન વ્યવસાયથી એક એચઆર વ્યાવસાયિક છે. તેઓ મહારાષ્ટ્રમાં અનેક વાવના સંરક્ષણની ઝુંબેશ ચલાવી રહ્યા છે. તેમાંથી અનેક વાવ તો સેંકડો વર્ષ જૂની છે અને આપણા વારસાનો હિસ્સો હોય છે. સિકંદરાબાદમાં બંસીલાલ- પેટ કૂવો પણ આવી જ એક વાવ છે. વર્ષોની ઉપેક્ષાના કારણે આ વાવ માટી અને કચરાથી પુરાઈ ગઈ હતી. પરંતુ હવે ત્યાં એક વાવને પુનર્જીવિત કરવાનું અભિયાન જનભાગીદારીથી શરૂ થયું છે.
પીએમ મોદીએ ગુજરાતનું ઉદાહરણ આપતા જણાવ્યું કે, હું જે રાજ્યમાંથી આવું છું ત્યાં પાણીની સદા બહુ જ કમી રહી છે. ગુજરાત જેવા રાજ્યમાં વાવની મોટી ભૂમિકા રહી છે. આ કૂવા અથવા વાવડીઓના સંરક્ષણ માટે ‘જળ મંદિર યોજના’એ બહુ મોટી ભૂમિકા ભજવી. સમગ્ર ગુજરાતમાં અનેક વાવડીઓને પુનર્જીવિત કરવામાં આવી. તેનાથી તે વિસ્તારોમાં પાણીનું સ્તર વધારવામાં પણ ઘણી મદદ મળી. આવું જ અભિયાન તમે સ્થાનિક સ્તર પર ચલાવી શકો છો. ચેક ડેમ બનાવવાના હોય કે વરસાદી પાણીનો સંગ્રહ કરવાનો હોય, તેમાં વ્યક્તિગત પ્રયાસ પણ મહત્ત્વના છે અને સામૂહિક પ્રયાસો પણ જરૂરી છે. જેમ કે સ્વતંત્રતાના અમૃત મહોત્સવમાં આપણા દેશના દરેક જિલ્લામાં ઓછામાં ઓછાં 75 અમૃત સરોવર બનાવી શકાય છે. કેટલાંક જૂનાં સરોવરોને સુધારી શકાય છે, કેટલાંક નવાં સરોવર બનાવી શકાય છે. મને વિશ્વાસ છે કે તમે આ દિશામાં કંઈ ને કંઈ પ્રયાસ જરૂર કરશો.