ગુજરાતમાં સરકારી ભરતી પ્રક્રિયામાં પેપર ફૂટવા પૈસા લઈ નોકરીઓની ગોઠવણ પાર પાડવી સહીત અનેક પ્રકારે ગેરરીતિ આચરવામાં આવી હોવાના અનેક કિસ્સાઓ સતત બહાર આવી રહ્યા છે ત્યારે કોંગ્રેસની યુવા પાંખે સરકારી નોકરીની પરીક્ષાના પેપર ફૂટવા સરકારી ભરતી પ્રક્રિયા રદ થવી અને બેરોજગારી મુદ્દે લઇ સોમવારે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે યુવા સ્વાભિમાન સંમેલન યોજવામાં આવશે કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોષીએ ગુજરાત સરકાર પર ભારે આક્ષેપ કરી ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષથી સરકારી નોકરીઓમાં વ્યાપમ કૌભાંડ આચારવામાં આવ્યું હોવાનો આક્ષેપ કર્યો હતો.
સાંભળો કોંગ્રેસ પ્રવક્તા મનિશ દોશીએ આ બાબતે શું કહ્યું
વર્ષ-2018 માં વનરક્ષકની ૩૩૪ જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા બહાર પાડવામાં આવી હતી 334 જગ્યાઓ માટે ૫ લાખ જેટલા બેરોજગાર યુવક-યુવતીઓએ ફોર્મ ભર્યાં હતા, જો કે આર્થિક અનામતના વિવાદના પગલે સમગ્ર ભરતી પ્રક્રિયા મુલતવી રહી હતી રવિવારે આખરે વનરક્ષકની પરીક્ષા યોજાઈ હતી. આ પરીક્ષાનું પેપર ફૂટી ગયું હોવાના આક્ષેપ થઇ રહ્યા છે. કોંગ્રેસે સરકારની ભરતી પ્રક્રીયામાં મોટું કૌભાંડ આચરવામાં આવતું હોવાના આક્ષેપ સાથે સરકારના માથે માછલાં ધોયાં હતા અને સરકારની રીતિનીતિ સામે પસ્તાળ પાડી હતી. વન સંરક્ષણની પરીક્ષામાં કોઈપણ પ્રકારની ગેરરીતિ ના થાય તે માટે તમામ પરીક્ષા કેન્દ્રો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આ સાથે જ CCTV કેમેરાની બાજ નજર ઉપરાંત ફ્લાઈંગ સ્ક્વોડની પણ ટીમો પણ ચાંપતી નજર રાખવામાં આવી હોવા છતાં પેપર ફરતું થયું હતું. આમ પરીક્ષા દરમિયાન જ પેપર ફરતું થતાં અનેક સવાલો ઉઠ્યા છે.