અંજાર તાલુકાના રતનાલ ગામે પ્રાચીન બળદ ગડામાંથી કારીગર દ્વારા આધુનિક ઝુલા બનાવવામાં આવે છે . આ ગાડાઓમાંથી બનેલા નવતર ઝુલા કચ્છ અને બહારના જિલ્લામાં ધાર્મિક સ્થળે વિનામૂલ્યે અર્પણ કરવામાં આવે છે . સ્થાનકના સેવકગણ દ્વારા લઈ આપવામાં આવતા અથવા ઓર્ડર મુજબ નવીનતમ ઝુલા તૈયાર કરી આપવામાં આવે છે . અત્યાર સુધી અનેક ઝુલા બનાવી લેવામા આવ્યા હોવાનું જાણવા મળે છે . આ કામગીરી માત્ર પ્રાચીન સંસ્કૃતિ જળવાઈ રહે તે હેતુસર કરવામાં આવતી હોવાનું કારીગર ગોપાલ કરસન સુથાર જણાવે છે . રતનાલ ગામે રહીને વર્ષોથી સુથારીકામ સાથે સંકળાયેલા ૫૭ વર્ષીય ગોપાલભાઈના જણાવ્યા અનુસાર નિવૃત્તિ વય તરફ આગળ વધતા કામ સાથે સદકાર્યો કરવાની ભાવનાથી બહુમૂલ્ય સિસમના લાકડા દ્વારા તૈયાર કરવામાં આવેલા પ્રાચીન બળદગાડા અનેક સ્થળે પડતર હાલતમાં જોયા બાદ આ ગાડાઓ બનાવવા પાછળ થયેલો ખર્ચ અને મહેનત વિફળ જઈ રહ્યાની લાગણી થતા પ્રાચીન સંસ્કૃતિ જળવાઈ રહે તે હેતુસર દશ વર્ષ પૂર્વે તેમાંથી નબતર ઝુલા બનાવવાનું શરૂ કર્યું હતું . ગાડામાંથી બનેલા ઝુલા કચ્છ અને રાજ્યમાં અનેક ધાર્મિક સ્થળે આપવામાં આવ્યા છે . એક ઝુલો બન્યા બાદ જ્યારે કોઈ સ્થાનકના સેવકગણ દ્વારા આ ઝુલાની માગ કરવામાં છે ત્યારે તેઓ દ્વારા જુના ગાડા મેળવી મને પહોંચાડે છે . જેમાંથી હું અને મારો પુત્ર નીતિન ઝુલા બનાવી વિના ખર્ચે તેઓને બનાવી આપીએ છીએ . આ ગાડા હજુ પણ અનેક સ્થળે પડતર પડ્યા છે . પરંતુ તેને શોધવા કપરી વાત છે . આ માટે ખૂબ પૂછપરછ કરવી પડે છે . જે રૂ . ૩૦ હજારની આસપાસ મળે છે . ગાડાની વિશેષતાઓ જોઈએ તો ૭૦ થી ૮૦ વર્ષ જૂના બળદ ગાડા આજે પણ મજબૂત અવસ્થામાં જોવા મળે છે . તેમાં ક્યાંય કોઈ સડો કે ધૂળ જોવા મળતી નથી . પ્રાચીન કહી શકાય એવા આ ગાડા પાંચ પ્રકારના આવે છે . તેમાં રેકડી ગાડું , પોનિયુ ગાડું , ધોકલાવાળી રેકડી ગાડું , ૧૪ ફૂટ લાંબુ મોટું ગાડું અને વળવરુ ગાડું આવતું હતું . જોકે હવે આ પ્રકારના ગાડા બનવા અશક્ય છે . કારણે કે હવે વપરાતા મલેશિયાના લાકડા એટલા મજબૂત આવતા નથી . જ્યારે જુનવાણી ગાડા સિસમના લાકડામાંથી તૈયાર કરવામાં આવતા જેનો હાલ ઘનફૂટનો ભાવ રૂ . ૨૫ હજારની આસપાસ છે . એક ગાડું તૈયાર કરતા ૫ ઘનફૂટ લાકડું જોઈએ . માલ – સામાન સહિત આ ગાડું અત્યારે બનાવવાનો ખર્ચ ૧.૫ લાખથી પણ વધી જાય એમ છે. સિસમ લાકડું કાપતા તેની સુવાસ ૧૦ થી ૧૫ ફૂટ સુધી પ્રસરતી હોય છે.