વનરક્ષકની પરીક્ષાના પેપર લીક મામલે રાજ્યના શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ વિરોધીઓ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે, પેપર લીક થવાની ઘટનાઓને ફેશન બનાવી દીધી છે. ગાંધીનગર સ્થિત સરકારી પ્રાથમિક શાળા – બોરીજ ખાતે પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ યોજના મધ્યાહ્ન ભોજન યોજનાનો પ્રારંભ કરાવવા માટે શિક્ષણમંત્રી પહોંચ્યા હતા, જ્યાં મીડિયા સાથેની વાતચીતમાં આ નિવેદન આપ્યું હતું.
મીડિયા સાથેની વાતચીતમાં શિક્ષણંત્રીએ જણાવ્યું કે, રાજ્યના યુવાઓને ગેરમાર્ગે દોરવા માટે એક ફેશન ગુજરાતના વિરોધીઓએ બનાવી દીધી છે. તેમણે વધુ ઉમેરતા જણાવ્યું કે, ગેરરીતિ થવી અને પેપર ફુટવું તેમાં મોટો ફરક છે. તેમણે વિરોધીઓ પર પ્રહાર કરતા જણાવ્યું કે, રાજ્યના યુવાનોએ આવા લોકોને ઓળખી લેવા જોઇએ.
શું કહ્યું શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ, સાંભળો
અત્રે ઉલ્લેખનિય છે કે, 27 માર્ચના રોજ યોજાયેલી વનવિભાગની વન સંવર્ગ 3ની પરીક્ષાનું પેપર લીક થયાના સમાચાર સામે આવ્યા હતા, જેમાં મહેસાણાના ઉનાવાની મીરા દાતાર સર્વોદય વિદ્યાલયમાંથી પેપર ફુટ્યું હોવાની માહિતી પ્રાપ્ત થઇ હતી. સમગ્ર ઘટનાને લઇને અન્ય પરીક્ષાર્થીઓને જાણ થતાં જ અન્ય પરીક્ષાર્થીઓએ હોબાળો મચાવ્યો હતો અને પ્રશ્નપત્ર કોણે સોલ્વ કર્યું તે અંગે પણ સવાલો કર્યા હતા. હાલ પેપર લીકને લઇને અનેક સવાલો ઉઠાવ્યા હતા.