હાલોલ
સુપ્રસિધ્ધ યાત્રાધામ તેમજ શક્તિપીઠ પાવાગઢ ખાતે ચૈત્રી નવરાત્રી પૂર્ણ થયા બાદ ચૈત્રી પૂર્ણિમાના રોજ એક લાખ ઉપરાંત માઇભકતો માતાજીના દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. માતાજીના ભક્તોએ માતાજીના ચારણમાં શીશ નમાવી ધન્યતા અનુભવી હતી.જોકે ચાલુ વર્ષે ચૈત્રી નવરાત્રી દરમિયાન રજાના દિવસોને બાદ કરતા નવરાત્રી માં ભક્તોની પાંખી હાજરી જોવા મળી હતી.જ્યારે પૂનમના દિવસે માતાજીના દર્શનનો ભક્તોમાં વિશેષ મહિમા અને તેમાં પણ ચૈત્રી પૂનમ હોય પાવાગઢ ખાતે ભક્તોનો સૈલાબ જોવા મળતો હતો.
ચૈત્રી તેમજ આસો નવરાત્રી તેમજ પૂનમ તેમજ રવિવાર દરમિયાન શક્તિપીઠ પાવાગઢ ખાતે બિરાજમાન જગત જનની માં કાલીના દર્શન નો માઈ ભક્તોમાં વિશેષ મહિમા હોય છે. જ્યારે પૂનમ ના રોજ પણ ભક્તો માતાજીના દર્શન કરવા વિશેષ આવતા હોય છે.આ સમયગાળા દરમિયાન ગુજરાતમાંથી તેમજ અન્ય રાજ્યો જેવાકે મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, કર્ણાટક જેવા રાજ્યોમાંથી માઇભકતો માતાજીની આરાધના કરવા માટે આવતા હોય છે.મંગળવાર ના રોજ પૂનમ હોય સોમવાર રાત્રેથી જ પાવાગઢ તરફ જતા માર્ગ પર પગપાળા યાત્રા સંઘો નો સૈલાબ જોવા મળતો હતો.જોકે કાળઝાર ગરમીના ના કારણે માતાજીના ભક્તો ખાસ કરીને મધ્ય રાત્રીથી જ તેમજ વહેલી સવારે માતાજીના દર્શનનો લાહવો લેવા માટે રાત્રી દરમિયાન મંદિર પરિસર ખાતે પહોંચી ચૂક્યા હતા.પાવાગઢ મંદિર ટ્રસ્ટ દ્વારા મંગળવાર ને પૂનમ ના દિવસે મળસ્કે ૪.૦૦ કલાકે નીજ મંદિરના દ્વાર ખુલ્લા મુકતા મંદિર પરિસર ખાતે હાજર માઈ ભકતોએ જય માતાજી ના ભારે જય ઘોષ થી મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું.ભક્તો શિસ્તબદ્ધ તેમજ શાંતિ પૂર્વક માતાજીના ચરણોમાં શીશ ઝુકાવી ધન્યતા અનુભવતા હતા.