ગુજરાત વિધાનસભાની ચૂંટણી વહેલી યોજવાના સંકેતો છે. ગુજરાત કોંગ્રેસમાં મોટો ફેરબદલ જોવા મળે તેમ છે. ખોડલધામના ચેરમેન નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાય તેવી શક્યતા હાલ જોવા મળી રહી છે. સુત્રો તરફથી મળેલી માહિતી મુજબ નરેશ પટેલ, પ્રશાંત કિશોર અને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત વચ્ચે જયપુરમાં બેઠક મળી હતી. નરેશ પટેલને ગુજરાત કોંગ્રેસના મુખ્યમંત્રી પદના ઉમેદવાર જાહેર કરવામાં આવી શકે છે.
પ્રશાંત કિશોરની વાત રાહુલ ગાંધીએ માન્ય રાખી
કોંગ્રેસના સુત્રો તરફથી મળતી માહિતી અનુસાર રાજકીય ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરનો આગ્રહ હતો કે, ગુજરાતમાં જનતા સામે એક વિશ્વાસપાત્ર ચહેરો રજૂ કરવામાં આવે જેના પર મોટા પાયે ધ્રુવીકરણ થઇને મત કોંગ્રેસને મળી શકે. કોંગ્રેસ એક ચહેરાની શોધમાં હતી અને નરેશ પટેલના રૂપમાં આ ચહેરો મળી ગયો છે.
પ્રશાંત કિશોરનું માનવુ છે કે મુખ્યમંત્રી તરીકે નરેશ પટેલ યોગ્ય છે અને જ્ઞાતિ બેલેન્સ કરવા કોઇ ઓબીસી કે આદિવાસી ચહેરાને પણ તેમના સાથીદાર તરીકે રજૂ કરવાની રણનીતિ ઘડવામાં આવી રહી છે. ગુજરાત કોંગ્રેસ માટે ચૂંટણી પહેલા જ એક ચહેરો લઈને 2022ની જંગમાં ઉતરવા માગે છે. આ આખી ફોર્મ્યુલા રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતની મધ્યસ્થીથી ઘડવામાં આવી છે.
15 એપ્રિલ આસપાસ નરેશ પટેલ ધડાકો કરી શકે
સૌરાષ્ટ્રના પ્રખ્યાત અને લેઉવા પાટીદારોના શ્રદ્ધા કેન્દ્ર એવા ખોડલધામના વડા અને પાટીદાર અગ્રણી નરેશ પટેલ તેમની રાજકીય ઇનિંગ શરૂ કરવા માટે હાલ એક ‘સર્વે’ કરાવી રહ્યા છે. આ સર્વે બાદ તેઓ 15 એપ્રિલ સુધીમાં રાજકારણમાં જવું કે નહીં તે અંગે નિર્ણય જાહેર કરશે એ સંકેતો વધુ સ્પષ્ટ થયા છે.