ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલા મોટી ઉથલ પાથલ જોવા મળી રહી છે. પૂર્વ મંત્રી કુંવરજી બાવળિયા ભાજપ છોડી શકે છે તેવી વાતો ફરતી થઇ હતી. જોકે, હવે કુંવરજી બાવળિયાએ સોશિયલ મીડિયા દ્વારા તેઓ ભાજપમાં જ રહેશે તેમ કહી આ વાત પર પૂર્ણ વિરામ મુકી દીધુ છે.
કુંવરજી બાવળિયાએ સોશિયલ મીડિયા પર કહ્યુ, હું ભારતીય જનતા પાર્ટીના સક્ષમ અને શીર્ષસ્થ નેતૃત્વથી પ્રભાવિત થઇ હું ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયો છું અને હંમેશા માટે રહેવાનો છું. પાર્ટીએ મને આદરપૂર્વક ખૂબ મહત્વની એવી કેબિનેટ મંત્રી તરીકેની જવાબદારી સોપી જેના માટે હું પાર્ટીનો ખૂબ આબારી છું. આ કાર્યકાળ દરમિયાન સૌને સાથે રાખીને નિષ્ઠાપૂર્વક અને પ્રામાણિકતાથી પ્રજાહિતના કાર્યોને સુપેરે પાર પાડ્યા જેનો મને ગર્વ છે.
છેલ્લા કેટલાક સમયથી મારા કોંગ્રેસમાં જોડાવાના પાયાવિહોણા સમાચારો ફેલાવવામાં આવી રહ્યા છે જેમાં કોઇ તથ્ય નથી.ઇશ્વર આવી અફવાઓ ફેલાવનાર તત્વોને સદબુદ્ધિ આપે એવી મારી પ્રાર્થના.
મહત્વપૂર્ણ છે કે સમાચાર માધ્યમોમાં એવી વાતો વહેતી થઇ હતી કે નારાજ પૂર્વ મંત્રીઓ નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાય તેની રાહ જોઇ રહ્યા છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા ટિકિટ ના મળવાને લઇને પૂર્વ મંત્રી કુંવરજી બાળવિયા અને પરષોત્તમ સોલંકી નારાજ છે અને તેઓ ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાઇ શકે છે. જોકે, કુંવરજી બાવળિયાએ પોતાનું સ્પષ્ટીકરણ આપી દીધુ છે. પરષોત્તમ સોલંકી વાવાઝોડામાં માછીમારોને સહાય આપવામાં ના આવતા પાર્ટીથી નારાજ હોવાનું મનાય છે.