ડૉ. સંતોષ દેવકર
પહેલા તો આ પ્રશ્નથી આશ્ચર્ય ફેલાયું. સવાલ હતો કે આ વખતે શેરી ગરબાનું આયોજન કોણ કરશે? દર વર્ષે સામે ચાલીનેએ ઉત્સાહ પૂર્વક આયોજન કરતો મહિના-દિવસ પહેલા તેનું માઈક્રો પ્લાનિંગ શરૂ થઈ જતું. અચાનક તેના આવા પ્રશ્નથી સૌને આશ્ચર્ય થયું, જે સ્વાભાવિક હતું. તેનો જવાબ વધુ આશ્ચર્યકારક હતો.’આજથી બરાબર સાતમા દિવસે મારું મૃત્યુ થવાનું છે’.શું કરવું તેની કાંઈ જ સમજ પડતી નહોતી. મિત્રોમાં થતી હકારાત્મક વાતો વચ્ચે તેના મનમાં તો બસ એક વાક્ય જ પડઘાયા કરતું કે હવે માત્ર છ દિવસ બાકી! આ વાક્ય જે પણ સાંભળે એના હોશ ઊડી જાય અને હા વાક્ય પણ એવું જ હતું. તેનું કામમાં મન લાગતું નહોતું. સામે સતત મોત ઝળુંબતું દેખાતું હતું. આખો સંસાર અને તમામ સાંસારિક પ્રવૃત્તિઓમાંથી મન ઊઠી ગયું હતું. સાત દિવસ શા માટે રાહ જોવી?
જાતે જ જિંદગીનો અંત કેમ ન લાવવો? કેમ આજે જ અને હમણાં જ એ કામ પૂરું કેમ ન કરવું? જેવા નકારાત્મક વિચારો પણ આવી ગયા.પરંતુ મિત્રોની સકારાત્મક વાતોની તેના મનમાં અસર થઈ.
મરવાનું જ છે તો પછી ખોટું કરીને અથવા સંબંધો બગાડી ને શા માટે મરવું ?
જો આ દુનિયા છોડીને જવાનું જ હોય તો પછી સૌ સાથે મળીને, આનંદ ખુશી સાથે , પ્રસન્નતાપૂર્વક જ જવું એમ નક્કી કર્યું. પરિણામે તેના આવા વલણને કારણે તેના વર્તનમાં પ્રામાણિકતા અને વાણીમાં મીઠાશ આવવા લાગી. બધા જોડે ખૂબ જ પ્રેમપૂર્વક વર્તવા લાગ્યો. વ્યવહારમાં સદભાવ ઉમેરાવાથી તેના સદવર્તન ની સુગંધ ચોમેર ફેલાવા લાગી. તે આખે આખો બદલાઈ ગયેલો નજરે પડતો હતો. લોકો તેના બદલાયેલા વર્તનને જોઈ સુખદ આશ્ચર્ય અનુભવતા હતા. જોતજોતામાં આઠ દિવસ પૂરા થઈ ગયા. મૃત્યુ તો સાતમા દિવસે થવાનું હતું અને આજે તો આઠમો દિવસ ઉગી ગયો હતો.
હવે બોલો ભવિષ્યવાણી મુજબ મારુ સાતમા દિવસે મૃત્યુ કેમ ન થયું?
આ સાત દિવસ દરમિયાન જીવન જીવવાની તમારી પદ્ધતિ અદભુત રહી સાચું પૂછો તો ખરેખર સાત દિવસ જે રીતે તમે લોકો સાથે વર્ત્યા તેજ સાચું જીવન.જીવનમાં સદભાવ અને પ્રભાવ ઉમેરાય પછી મધુવન ની મહેક ફેલાતી હોય છે. અન્ય સાથે પ્રસન્નતાપૂર્વક વર્તવાનુ આપણને બક્ષિસ મળેલું જ છે. ક્યાં ક્યારે કેવી રીતે બધું જ અનિશ્ચિત છે.પ્રસન્નતા અને ખુશી ફેલાવવી એ જ આપણું કર્મ અને ધર્મ બની રહે છે.
પ્રસન્નતા હંમેશા હળવાશ અને નવીનતા લાવે છે.રોજ જાગીએ ત્યારે નવી રીતે જાગીએ. નવી રીતે જીવવાથી વર્તમાનમાં જીવાય છે. આ વર્તમાનમાં જીવવાની કળા આંતરિક શક્તિ પેદા કરે છે. પરિણામે જીવન સુરીલું અને સંગીત મય બને છે.
મિસરી
લોકો ના ઉઠાવેલા ચાર સવાલથી હિમ્મત ના હારશો,દોસ્તો કેમ કે, ઘુંટણ છોલાયા વગર કોઈને સાઇકલ પણ નથી આવડતી.