માં ભોમની રક્ષા કરી આર્મી જવાન તરીકે દેશની સરહદોના રખોપા કરતા ૧૭ વર્ષની યશસ્વી સેવા આપી નિવૃત થયેલા અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના અણીયોર ગામના મનોજ કુમાર નાનજીભાઈ પરમાર તેમના માદરે વતન પહોંચતા પરિવારજનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં પહોંચી દેશભક્તિના ગીત-સંગીત સાથે ભવ્ય શોભાયાત્રા કાઢી ભવ્ય સ્વાગત કરવામાં આવતા સમગ્ર ગામ દેશભક્તિના રંગે રંગાયું હતું નિવૃત્ત આર્મી જવાનને સન્માનિત કરવા મોટી સંખ્યામાં સગા-સબંધી અને સ્થાનીક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા નિવૃત્ત આર્મી જવાન મનોજ ભાઈ પણ ઉમળકાભેર આવકાર જોઇ ઝૂમી ઉઠ્યા હતા.
અણીયોર ગામના મનોજ પરમાર યુવાન વયે માં-ભોમની રક્ષા કરવા આર્મીમાં જોડાયા હતા સતત ૧૭ વર્ષ સુધી દેશની વિવિધ સરહદ પર ફરજ બજાવી મધ્યપ્રદેશના અહેમદનગરથી નિવૃત્ત થયા હતા રવિવારે માદરે વતન અણીયોર પહોંચતા ગ્રામજનોએ અને પંથકના લોકોએ સામૈયુ કરી ખુલ્લી જીપમાં દેશભક્તિની સુરાવલીઓ વચ્ચે વાજતે-ગાજતે ઉમળકાભરે સ્વાગત કરી શોભાયાત્રા કાઢી હતી જેમાં મોટી સંખ્યામાં દેશપ્રેમીઓ જોડાયા હતા તેમના સન્માન સમારોહમાં પરિવારજનો, સગા-સબંધીઓ ,ગ્રામજનોએ અને આગેવાનોએ ફૂલહાર કરીને અને શાલ ઓઢાડીને બહુમાન કર્યું હતું.ગામના સૌ આગેવાનો-પરિવારજનોએ પણ તેમનું ફુલહારથી સ્વાગત કર્યું હતું.તેમની દેશ સેવાઓને બિરદાવી હતી. અને શુભકામનાઓ પાઠવી હતી.આ પ્રસંગમાં સમગ્ર ગામ દેશભક્તિના હિલોળે ચડ્યું હતું.ગામમાં ઉત્સવનો માહોલ સર્જાયો હતો.
નિવૃત્ત આર્મી જવાન મનોજ પરમારે સ્વાગત -સન્માનનો પ્રત્યુત્તર આપતા જણાવ્યું હતું કે દેશની સેવામાં સરહદો સાચવવા જોડાવા ઇચ્છતા મારા ગામના યુવાનોને હું આ જરૂરી તમામ માર્ગદર્શન આપીશ અને સેવામાં જોડાવા આહવાન કરું છુ.આજે મારું ગ્રામજનોએ જે ઉષ્માભર્યું ભવ્ય સવાગત-સન્માન કર્યું તે માટે ગામના આગેવાનો,યુવાનો,સૌ ગ્રામજનોનો આભાર વ્યક્ત કર્યો હતો