અરવલ્લી જિલ્લામાં પ્રાથમિક સુવિધાઓથી લોકો વંચિત છે, જેના કેટલાય તથ્યો સામે આવ્યા છે. પણ હવે તો હદ થઇ કે, જિલ્લા તંત્ર મડદાને પણ શાંતિ વિદાય આપી શકતું ન હોવાનો કિસ્સો સામે આવ્યો છે. મેઘરજ સ્મશાન ગૃહમાં લાઈટ બંધ હાલતમાં જોવા મળી રહી છે, જેને લઇને ગાડીઓના હેડ લાઈટ ચાલુ કરી મૃતકની અંતિમક્રિયા કરવાનો વારો આવ્યો હતો. 3 એપ્રિલના રોજ બ્રહ્મણ પરિવારના એક વ્યક્તિનું નિધન થયું હતું, જેમની અંતિમક્રિયા કરવા માટે મેઘરજના સ્મશાનગૃહ ખાતે લઇ જવાયા હતા, જોકે ડાઘુઓ અંધારામાં અંતિમક્રિયા કરવા મજબૂર બન્યા હતા.
મેઘરજ નગર માં સ્મશાનગૃહ આવેલું છે, જેનું સંચાલન મેઘરજ પંચાયત દ્વારા કરાય છે, પણ સ્મશાન ગૃહમાં પણ કેટલીક પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવામ મળે છે, જેથી અંતિમક્રિયા માટે આવતા ડાઘુઓને પણ હાલાકીઓનો સામનો કરવાનો વારો આવ્યો છે. મોટાભાગની લાઇટ બંધ હોવાથી રાત્રિના સમયે અંતિમક્રિયા માટે આવતા લોકોએ હાલાકીઓનો સામનો કરવો પડી રહ્યો છે. એક એવી ઘટના 3 એપ્રિલના રોજ બની હતી કે, શરમથી માથુ ઝૂકી જાય, પણ તંત્રને આવી કોઇ જ ચિંતા નથી. મૃતક વ્યક્તિના અંતિમક્રિયા માટે પહોંચેલા ડાઘુઓએ ગાડીઓને હેડ લાઈટ ચાલુ કરીને અંતિમક્રિયા કરવી પડે તે કેટલી હદે યોગ્ય છે, તે સવાલ છે. ગામડાના માનવીને કોઇ જ વસ્તુની કે પ્રાથમિક સુવિધાની જરૂર નથી તેવું તાલુકા તંત્ર અને જિલ્લા તંત્ર માની રહ્યું છે. માત્ર લાઈટ જેવી સુવિધા ન કરી આપતું હોય તો મોટા કામ કેવી રીતે પાર પાડી શકે તે એક સવાલ છે.
અરવલ્લી જિલ્લામાં સગર્ભા મહિલાઓએ રોડના અભાવે પદયાત્રા કરીને એમ્બ્યુલન્સ સુધી જવું પડે, પહેલા પાણી, પછી પરીક્ષા આપવા જતાં વિદ્યાર્થીઓ અને હવે નનામી મુકેલા મૃતદેહનો વિચાર કોઇને નથી આવતો કે શું.. ?