અરવલ્લી જીલ્લાના અંતરિયાળ વિસ્તારો અનેક પાયાગત સુવિધાઓથી વંચિત છે, શામળાજી નજીક આવેલા નવા વેણપુર (નવા ગામ)ની દુર્દશા જોઈ ગતિશીલ ગુજરાતનો ફુલાવેલો પરપોટો ફૂટી જશે. ગામમાં મુખ્ય રોડ થી ગામને જોડાતો માર્ગની અને અંતરિયાળ માર્ગના અભાવે લોકોને ભારે હાલાકી અનુભવવી પડી રહી છે. લોકોને પાયાની સુવિધાઓથી કેમ દૂર રાખવામાં આવી રહ્યા છે, તે સવાલો ઉઠી રહ્યા છે. જો ગામમાં રસ્તો નહીં બને તો ફરીથી વધુ એક સગર્ભા મહિલાએ પદયાત્રા કરીને 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ સુધી જવાનો વારો આવી શકે એમ છે.
નલ સે જલ યોજના ફેલ !
કેન્દ્ર સરકાર દ્વારા ઘરે ઘરે નળથી પાણી મળી રહે તે હેતુથી નલ સે જલ યોજના લાગૂ કરવામાં આવી છે, પણ અંતરિયાળ વિસ્તારોને આ યોજનાથી દૂર રાખવામાં આવ્યા હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે, તેઓ અંતરિયાળ વિસ્તારમાં વસવાટ કરે છે. ગામમાં આવેલા હેન્ડ પંપ સર્વિસના અભાવે શોભાના ગાંઠિયા સમાન બન્યા છે. હાલ ઉનાળાની શરૂઆત થઇ ચૂકી છે, આ વચ્ચે લોકોને પાણી માટે વલખા મારવાનો વારો આવી શકે એમ છે. ત્યારે સવાલ એ થાય છે કે, પાણીની વ્યવસ્થા ક્યારે પૂરી પાડવામાં આવશે તે પણ એક સવાલ છે.
ગામમાં અન્ય સુવિધાઓનો અભાવ
કારછા ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ નવા વેણપુર (નવા ગામના)માં રોડ રસ્તાનો અભાવ હોવાથી અને ઉબડ ખાબડ હોવાથી લોકોને કામકાજ અર્થે પસાર થતા ભારે હાલાકી અનુભવી રહ્યા છે. માર્ગો ધૂળિયા હોવાથી લોકો શ્વાસ અને એલર્જીની બીમારીનો ભોગ બની રહ્યા છે. ગામના લોકોને રાશન લેવા માટે ત્રણ કિલોમીટર દૂર આવેલ વેણપુર ગામની સસ્તા અનાજની દુકાનમાં રાશન લેવા જવું પડતું હોવાથી અનેક મહિલાઓ રાશન થી વંચિત રહેવાનો વારો આવ્યો છે.
સ્મશાન જવા માટે માર્ગ ન હોવાથી સ્વજનોની અંતિમવિધિમાં પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે
ગામલોકો વારંવાર પ્રાથમિક સુવિધાઓ અંગે જવાબદાર તંત્રમાં રજૂઆત કર્યા પછી પણ વિકાસ થી વંચિત રહેતા લોકોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે.