અરવલ્લી જિલ્લામાં તળાવો ઊંડા કરવાની કામગીરીને લઇને જિલ્લા પંચાયતના પૂર્વ ન્યાય સમિતિના ચેરમેન રેવાભાઈ ભાંભીએ જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપીને કેટલીક રજૂઆતો કરી છે, હાલમાં પાણીની સમસ્યાઓ ઉદભવી રહી છે, આ વચ્ચે તળાવો ઊંડા કરવાની કામગીરીમાં કેટલીક ઉણપો જોવા મળી રહી છે, જેથી આગામી દિવસોમાં પાણીની સમસ્યા ગ્રામ્ય વિસ્તારોમાં વર્તાવાની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે. જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપીને જણાવ્યું કે,
સુજલામ સુફલામ જળ અભિયાન 2022 નો પાંચમા તબકકાનો પ્રારંભ થયો છે. અરવલ્લી જીલ્લામાં કુલ- 29 તળાવો ઉંડા કરવાનું લક્ષ્યાંક છે, જે અરવલ્લી જીલ્લા પંચાયત સિંચાઈવિભાગ દ્વારા તળાવો ઉંડા કરવાની કામગીરી હાથ ધરવામાં આવેલ છે. પણ આ પાંચમા તબકકામાં મુખ્યત્વે અને ગંભીર બે સમસ્યાઓ ઉદભવી રહેલ છે, જેમાં,
1. સિંચાઈ વિભાગ દ્વારા તળાવો ઊંડા કરવાના કામોમાં 7/12 ના ઉતારાઓમાં જે તળાવ નીમ થયેલ હોય તે તળાવની કામગીરી હાથ ધરવામાં આવશે. જેથી અરવલ્લી જીલ્લાના ગણા તળાવો સ્થળ સ્થિતિ ઉપર વર્ષોથી તળાવ આવેલા છે. આ તળાવોમાં અગાઉ પણ ખોદકામ કરવામાં આવેલ છે અને સિંચાઈ વિભાગ ના કામો થયેલ છે. 7/12 માં નોંધ થયેલી ન હોવાના કારણે તે તળાવોની કામગીરી કરવામાં આવશે નહિ, જે ખુબ મોટી સમસ્યાછે. જળ સંચય અભિયાનનો સમયગાળો 31/05/2022 સુધી હોય છે. ખુબ જ ઓછો સમયગાળો હોવાને કારણે તળાવ નીમ કરવાની કાર્યવાહી કરવામાં વધુ સમય હોવાથી જીલ્લા પંચાયત સિંચાઈ વિભાગ દ્વારા ખરાઈ કરી નીમ થયેલ ન હોય તેવા તળાવો પણ ઊંડા કરવામાં આવે.
2. બીજી મોટી સમસ્યા એ છે કે, અગાઉ જે તળાવ બે વાર ખોદવામાં આવેલા હોય તેવા તળાવોની કામગીરી પણ હાથ ધરેલ નથી. જેથી અરવલ્લી જિલ્લાના મોટા ભાગના તળાવો ભલે અગાઉ બે વાર ખોદાવેલ હોય પણ હાલની પરિસ્થિતિમાં સુકા ભટ્ટ થઈ ગયેલ છે. અને તે તળાવો ઊંડા કરવાની ખુબ જ જરૂરીયાત છે. કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરાઈ કે, આ બાબતે સ્થળ સ્થિતિની ખરાઈ કરી જરૂરીયાતવાળા તળાવો ઊંડા કરાવવાની કામગીરીમાં સમાવેશ કરવામાં આવે.
અરવલ્લી જિલ્લામાં હાલ ભૂગર્ભજળ ના તળ 250 થી 300 મીટરની ઊંડાઈ પર જતા રહ્યા રહ્યા છે. ઉનાળાની શરુઆત પહેલાં જ પીવાના પાણીની સમસ્યાથી માનવી તેમજ પશુઓ વલખા મારી રહ્યા છે, આ વચ્ચે ગ્રામ્ય વિસ્તારોની સ્થિતિ વિકટ બની શકે એમ હોવાથી તાત્કાલિક યોગ્ય કાર્યવાહીની માંગ કરવામાં આવી છે.
જો કે આ બાબતે યોગ્ય કાર્યવાહી ક્યારે થાય છે તે જોવું રહ્યું છે, જિલ્લાના કેટલાય ગ્રામ્ય વિસ્તારોમાં હજુ પાણીની સમસ્યાઓ વર્તાઈ રહી છે, ત્યારે તળાવો ઊંડા કરવાની કામગીરી યોગ્ય દિશામાં થાય તે પણ જરૂરી છે.