અરવલ્લી જિલ્લાના મેઘરજમાં આવેલી આઈ.ટી.આઇ. માં ફરજ બજાવતા 4 જેટલા ચોકીદારને છૂટા કરી દેવાતા આઈ.ટી. બહાર ધરણાં યોજવામાં આવ્યા. ગુજરાત રાજ્ય વાલ્મિકી સંઘઠનના પ્રમુખ લાલજી ભગતની આગેવાનીમાં છૂટા કરાયેલા કર્મચારીઓ તેમજ તેમના પરિવાર સાથે ધરણા કરાયા હતા. છૂટા કરાયેલા તમામ કર્મચારીઓને પરત લેવાની માંગ સાથે મેઘરજ મામલતદારને 6 એપ્રિલના રોજ આવેદન પત્ર આપવામાં આવ્યું હતું જોકે સ્થાનિક વહીવટી તંત્ર એજન્સીના ઘૂંટણિયે પડ્યું હોય તેવું લાગતા કર્મચારીઓએ પોતાના હક માટે ધરણા યોજવાની નોબત આવી હતી.
મેઘરજ આઈ.ટી.આઈ. ખાતે વર્ષોથી ફરજ બજાવતા ચોકીદારોને અચાનક છૂટા કરી દેવામાં આવતા મેઘરજ મામલતદારને 6 એપ્રિલના રોજ આવેદન પત્ર આપીને રજૂઆત કરાવમાં આવી હતી. આ સાથે જ ચિમકી પણ ઉચ્ચારવામાં આવી હતી કે, જો છૂટા કરાયેલા કર્મચારીઓને પરત નહીં લેવામાં આવે તો બે દિવસ પછી તમામ કર્મચારીઓ ધરણાં યોજશે.
ગુજરાત રાજ્ય વાલ્મિકી સંગઠનના પ્રમુખ લાલજી ભગતે જણાવ્યું કે, ઘણા વર્ષોથી 1.અમરતભાઈ મનદીભાઈ મનાત, 2. ભવદીપભાઈ રમેશભાઈ સોલંકી, 3. દીલીપભાઈ વાલજીભાઈ રોત અને 4. રાજેન્દ્રભાઈ મોબનભાઈ જવાત ચારેય કર્મચારીઓ નિષ્ઠાપૂર્વક વોચમેન તરીકે ફરજ બજાવતા હતા. સંગઠનનું કહેવું છે કે, કોરોના જેવી મહામારીમાં પણ આ કર્મચારીઓએ પોતાની જવાબદારીથી હટ્યા નથી. અચાનક આ ચોકીદારોને છૂટા કરી દેવામાં આવતી પરિવારનું ગુજરાન કેવી રીતે ચલાવવું તે સવાલ છે.
વાલ્મિકી સંગઠને આક્ષેપ કર્યો છે કે, તમામ ચોકીદારોને આશરે 3 મહિના અગાઉ પોતાના પગાર વધારાની વાત આ સંસ્થાના આચાર્ય અને એજન્સીને કરી હતી, ત્યારથી જ આચાર્ય અને પ્રિન્સીપાલ દ્વારા તમામ ચોકીદારોને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા અને ખોટી રીતે તેઓને છૂટા કરવા માટે પ્લાન ઘડી કાઢવામાં આવ્યો હતો. આ સાથે જ તમામ ચોકીદારોને જાતિ વિષયક અપશબ્દો બોલવામાં આવ્યા હોવાનો પણ આક્ષેપ બાલ્મિકી સંગઠન દ્વારા કરવામાં આવ્યો છે અને મેઘરજ મામલતદારને 6 એપ્રિલના રોજ આવેદન પત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી.
છૂટા કરાયેલ કર્મચારીઓના હક્ક માટે લડતા લાલજી ભગત, સાંભળો શું કહ્યું.