યૂયોર્કના બ્રૂક્લિન સબ-વે સ્ટેશન પર ગઈકાલે અંધાધૂધ ગોળીબાર થયો હતો. આ ગોળીબારની ઘટનામાં 13 લોકોને ઇજા પહોંચી હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસે સબ-વેને કોર્ડન કરીને તપાસ આરંભી હતી. સબ- વે સ્ટેશનની ડોગ સ્કોડની મદદથી તપાસ થઇ હતી. નાગરિકોને ઘટનાસ્થળે ના જવા સુચના આપવામાં આવી હતી.
મહત્વનું છે કે, ફાયરીંગની ઘટના બાદ સબ-વે પરથી પોલીસે કેટલાક વિસ્ફોટકો શોધી કાઢ્યા હતા અને આ વિસ્ફોટકને નિષ્ક્રીય કરી દીધા હતા. પોલીસે અંતે એમ પણ જણાવ્યું હતું કે, સબવે સ્ટેશન ખાતે હાલમાં કોઇ વિસ્ફોટક સક્રીય નથી. ફાયરિંગ કરનાર આરોપી હાલ ફરાર છે અને પોલીસ આરોપીને શોધી રહી છે. વિસ્ફોટ થતાં લોકોમાં ભાગ દોડ મચી ગઇ હતી. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
સમગ્ર ઘટના પર ન્યૂયોર્ક પોલીસે નિવેદન આપતા કહ્યું કે મેટ્રો સ્ટેશન પર થયેલી અંધાધૂંધ ગોળીબારની ઘટના આતંકી ઘટના નથી. પોલીસ ફાયરિંગને ધ્યાને રાખી વધુ તપાસ કરી રહી છે. સમગ્ર ઘટનાને અંજામ આપનાર હુમલાખોર હજુ સુધી પોલીસ પકડમાં આવ્યો નથી. ન્યૂયોર્કની ગવર્નર કેથી હોચુલે કહ્યું કે આ ઘટનાને લઈ મારો વિભાગ સ્થાનિક તંત્ર સાથે મળીને આરોપીને પકડવા માટે કામ કરશે. વ્હાઇટ હાઉસના પ્રવક્તાએ પણ કહ્યું કે મેટ્રો સ્ટેશન પર ગોળીબારની ઘટનાની જાણકારી રાષ્ટ્રપતિ જો બાઈડનને પણ આપવામાં આવી છે.