ભારતના આઝાદીના ઈતિહાસની સૌથી વધુ દુઃખદ ઘટના એટલે જલિયાંવાલા બાગ હત્યાકાંડ. 13 એપ્રિલ 1919ના રોજ સાંજે 4 વાગ્યે આ ઘટના બની હતી. આ દિવસે અમૃતસરના જલિયાંવાલા બાગ ખાતે એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં બાળકો અને સ્ત્રીઓ સહિત લગભગ 5 હજાર જેટલા લોકો એકઠા થયા હતા. મહત્વનું હતું કે, સભા જે જગ્યાએ યોજાઈ હતી તે સ્થળ પર પ્રવેશ માટે અને બહાર નિકળવા માટે ફક્ત એક ગલી જ હતી.
જલિયાંવાલા બાગની આ સભાની જાણ અંગ્રેજ અધિકારી જનરલ ડાયરને મળી હતી અને જનરલ ડાયર 90 જેટલા સૈનિકોની ટુકડી લઈને જલીયાંવાલા બાગના પ્રવેશદ્વાર પાસે પહોંચી ગયો હતો. જનરલ ડાયરે અહિં ભેગા થયેલા 5 હજાર જેટલા લોકો ઉપર કોઈપણ પ્રકારની પૂર્વ ચેતવણી વિના જ ગોળીબાર શરુ કરી દીધો હતો. ફાયરિંગ શરુ થતાં જ ત્યાં ઉપસ્થિત મેદનીમાં ભાગદોડ મચી ગઈ હતી. 10 મિનિટમાં કુલ 1650 રાઉન્ડ ગોળીઓ છોડવામાં આવી હતી. કેટલાક લોકો ગોળીઓથી બચવા માટે મેદાનમાં આવેલા કુવામાં પણ કુદી પડ્યા હતા. કુવામાંથી અંદાજે 120 મૃતદેહ મળી આવ્યા હતા. આ હત્યાકાંડમાં અંદાજે 350થી વધુ લોકોનાં મોત થયાં હતાં.
દેશ 13 એપ્રિલના રોજ આ હત્યાકાંડમાં શહિદ થયેલા લોકને યાદ કરીને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.