પાકિસ્તાન સેનાએ પૂર્વી અફઘાનિસ્તાનના ખોસ્ત અને કુનાર વિસ્તારોમાં મોટી હવાઈ હુમલો કર્યો છે. આ હુમલામાં અફઘાનિસ્તાનના ઓછામાં ઓછા 47 લોકો માર્યા ગયા છે. ખોસ્તમાં માહિતી અને સંસ્કૃતિ વિભાગના નિદેશક શબ્બીર અહેમદ ઉસ્માનીએ જણાવ્યું કે, ખોસ્તમાં ડ્યુરન્ડ લાઇન પાસે પાકિસ્તાનના હવાઈ હુમલામાં મહિલાઓ અને બાળકો સહિત 47 નાગરિકોના મોત થયા છે. હુમલામાં 22 લોકો ઘાયલ પણ થયા છે.
પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે નિવેદન બહાર પાડ્યું
AFP અનુસાર, રવિવારે એક નિવેદનમાં પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે કહ્યું, “છેલ્લા કેટલાક દિવસોમાં પાક-અફઘાન સરહદ પર ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થયો છે, જેમાં સરહદ પારથી પાકિસ્તાની સુરક્ષા દળોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે.” કમનસીબે TTP સહિત સરહદી વિસ્તારમાં પ્રતિબંધિત આતંકવાદી જૂથોના આતંકવાદીઓ પાકિસ્તાનની સરહદ સુરક્ષા ચોકીઓ પર હુમલા કરવાનું ચાલુ રાખે છે, જેના પરિણામે ઘણા પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા છે.
કાબુલમાં પાકિસ્તાની રાજદૂતને બોલાવવામાં આવ્યા
પાકિસ્તાને તાલિબાન અધિકારીઓને અફઘાનિસ્તાનની ધરતી પર આતંકવાદીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવા હાકલ કરી છે. પાકિસ્તાની સૈન્યએ કથિત રોકેટ હુમલામાં છ અફઘાનને માર્યા હોવાનો દાવો કર્યાના એક દિવસ બાદ આ નિવેદન આવ્યું છે. જેમાં અફઘાનિસ્તાનના પૂર્વ પ્રાંત કુનારમાં રહેતા પાંચ બાળકો અને એક મહિલાનો સમાવેશ થાય છે. હુમલાના વિરોધમાં તાલિબાનના અધિકારીઓએ કાબુલમાં પાકિસ્તાનના રાજદૂતને બોલાવ્યા.
તાલિબાને નારાજગી વ્યક્ત કરી
તેના બચાવમાં પાકિસ્તાને કહ્યું કે આ હુમલાઓ આતંકવાદીઓને લક્ષ્યમાં રાખીને કરવામાં આવ્યા હતા. તાલિબાને દાવાઓને ફગાવી દીધા છે અને કહ્યું છે કે ગયા વર્ષે ઓગસ્ટમાં અફઘાનિસ્તાન પર કબજો કર્યો ત્યારથી તેઓ સીમાપારથી થતા હુમલાઓને નિયંત્રિત કરે છે. અફઘાનિસ્તાનમાં યુનાઈટેડ નેશન્સ આસિસ્ટન્સ મિશન (UNAMA) એ જણાવ્યું હતું કે, “ખોસ્ત અને કુનાર પ્રાંતમાં હવાઈ હુમલાના પરિણામે મહિલાઓ અને બાળકો સહિત નાગરિકોની જાનહાનિના અહેવાલોથી UNAMA ખૂબ જ ચિંતિત છે.”
અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે દુશ્મનાવટ
તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) એ પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની સરહદ પર આધારિત પશ્તુન ઇસ્લામિક સશસ્ત્ર આતંકવાદી જૂથ છે. તે અફઘાન તાલિબાન સાથે સમાન વિચારધારા ધરાવે છે. તાલિબાન સરકારના પ્રવક્તા ઝબીહુલ્લાહ મુજાહિદે કહ્યું, “આ એક ક્રૂરતા છે અને તે અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે દુશ્મનાવટનો માર્ગ મોકળો કરી રહી છે.” તેમણે કહ્યું, “પાકિસ્તાન પક્ષે જાણવું જોઈએ કે જો યુદ્ધ શરૂ થાય છે, તો તે બંને પક્ષોના હિતમાં રહેશે નહીં.”