મેરા ગુજરાત, સાબરકાંઠા
સાબરકાંઠા જિલ્લાના વિજયનગર પંથકમાં છેલ્લા એક મહિનાથી હાહાકાર મચાવનાર કપિરાજ આખરે પાંજરે પુરાતા સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. વિજયનગર પંથકના રાજપુર તેમજ ગોડવાડા ગામે છેલ્લા કેટલાક સમયથી કપિરાજનો ત્રાસ વધી ગયો હતો, જેને લઇને સ્થાનિક લોકો હેરાન-પરેશાન થઇ ચુક્યા હતા. કપિરાજને પકડવા માટે વનવિભાગ દ્વારા કવાયત હાથ ધરવામાં આવી હતી જોકે કપિરાજ પાંજરે ઝાપ્તામાં નહોતા આવતા. વનવિભાગની ભારે જહેતમ બાદ આખરે એક મહિના પછી કપિરાજ પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે.
વિજયનગર તાલુકાના રાજપુર તેમજ ગોડવાડા ગામે તેમજ આજુબાજુના ગામોમાં કપિરાજે છેલ્લા 1 મહિના થી આતંક મચાવી રહ્યો હતો અને લોકોમાં પણ ભય નો માહોલ જોવા મળી રહ્યો હતો. ગાય,ભેંસ,બકરી ને બચકા ભરીને ઇજાઓ પહોંચાડી હતી. પૂછડી વગર નો કપિરાજ ને વિજયનગર નોર્મલ રેન્જ ના સ્ટાફ સી.એસ.ચૌધરી,એન.એન.મેરજીયા તથા એસ.પી.સોલંકી સતત 4 કલાક થી ખુબ જ મહેનત બાદ કપિરાજને પાંજરે પુરવામાં સફળતા મળી છે.આ માટે ગામ લોકોનો પણ ખૂબ જ સહકાર મળ્યો હતો. વનવિભાગે પાંજરે પુરેલા કપિરાજ ને જંગલમાં સુરક્ષિત છોડી મુકાયો હતો.