જમ્મુ-કાશ્મીરમાં ફરી એકવાર સુરક્ષાદળો આતંકીઓને પાઠ ભણાવવામાં લાગેલા છે, જેના કારણે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. કાશ્મીરના કુલગામમાં સુરક્ષા દળોએ એન્કાઉન્ટર દરમિયાન બે આતંકીઓને ઠાર કર્યા છે. એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા બંને આતંકવાદીઓ પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન જૈશ-એ મોહમ્મદ સાથે સંબંધિત છે. કાશ્મીરના IGPએ એક નિવેદનમાં આ વાત કહી છે.
તમને જણાવી દઈએ કે જ્યારથી પીએમ મોદીની જમ્મુ-કાશ્મીરની મુલાકાત નક્કી કરવામાં આવી છે, ત્યારથી આતંકવાદી સંગઠનો સતત ઘાટીમાં તોફાન કરવાનું ષડયંત્ર રચી રહ્યા છે. ગુપ્તચર એજન્સીઓ અને સુરક્ષા દળો આતંકીઓની યોજનાને નિષ્ફળ બનાવી રહ્યા છે.
સુરક્ષા દળોને દક્ષિણ કાશ્મીરના કુલગામના મીરહામામાં આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી. આ પછી વિસ્તારને કોર્ડન કરીને સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. સર્ચ ઓપરેશન દરમિયાન આતંકવાદીઓએ સુરક્ષાદળો પર ગોળીબાર કર્યો, ત્યારબાદ અથડામણ થઈ. આઈજીપીના જણાવ્યા અનુસાર, માર્યા ગયેલા આતંકવાદીઓ પાસેથી મોટી માત્રામાં વિસ્ફોટકો મળી આવ્યા હતા. આ સિવાય તેમની પાસેથી 2 એકે રાઈફલ, 7 મેગેઝીન, 9 ગ્રેનેડ મળી આવ્યા છે. હાલ સર્ચ ઓપરેશન ચાલુ છે.
આપને જણાવી દઈએ કે શુક્રવારે જમ્મુ અને કાશ્મીરના બારામુલ્લા જિલ્લામાં સુરક્ષા દળો સાથે લગભગ 36 કલાક સુધી ચાલેલી અથડામણમાં ત્રણ લશ્કર-એ-તૈયબાના આતંકવાદીઓ માર્યા ગયા હતા. તેમાં આ આતંકી સંગઠનનો ટોપ કમાન્ડર યુસુફ કંત્રુ પણ હતો. અગાઉ, પોલીસે દાવો કર્યો હતો કે બારામુલ્લામાં એન્કાઉન્ટરમાં ચાર આતંકવાદીઓ માર્યા ગયા હતા, પરંતુ એન્કાઉન્ટર સ્થળ પરથી ત્રણ મૃતદેહો મળી આવ્યા છે.