ડો. સંતોષ દેવકર
“એવોર્ડ કે મેડલ કોઇ આપવાનું નથી”
“ભાઇ કામ તો કામ છે.”
“બરાબર, પણ થાય એટલુ કરવાનું “
“ના,ના એ તો કરીએ એટલુ થાય “
“આપણે માણસ છીએ, ઢોર નહિ “
“સૉરી,ચીવટથી કામ કરવું એ હવે સ્વભાવ બની ગયો છે.”
“ચોખ્ખી વાત, જેટલા પૈસા મળે એટલુ જ કામ થાય.”
શહેરની સીટી બસમા અપડાઉન કરતાં કેટલાક કર્મચારીઓ ચર્ચા કરી રહ્યા હતા.
કામની શરૂઆતમાં જ શંકાકુશંકા ઊભીકરનારા, અણસમજુ લોકો સંસ્થાને નુકસાન પહોંચાડતા હોય છે. કોઈ ચાંદ આપવાનું નથી, કોઈ કામ જોવાનું નથી. જે મળે તેના પ્રમાણમાં જ કામ કરવું.વળતર કરતા વધુ કામ કરવું મુર્ખામી છે. આવું વિચારનારાઓથી સફળતા જોજનો દુર રહે છે. દરેક બાબતમા ડાઉટસ ઊભા કરી લોકોને કન્ફયુઝ કરતાં રહે છે.તેમની નસેનસમાં લોહીની જગ્યાએ કન્ફયુઝન વહેતું હોય છે.
કામ નથી જ કરવું એમ નક્કી કરીને બેસનારા બીજા પ્રકારના લોકો નેગેટીવ દલીલો કરવામાં નિષ્ણાત હોય છે.કામ ન કરવા માટે તેઓ જાત-ભાતના આભાસી ઉદાહરણો ઊભા કરી મૂંઝવણ પેદા કરતા હોય છે. પોતાની જાત ફરતે બહાનાઓનુ કોચલુ રચી દઈ વિકૃત આનંદ મેળવતા હોય છે. કામચોરી ને કોચરાઇ તેમના હથિયાર છે.
ત્રીજા પ્રકારના લોકોના ખભા પર આખી સંસ્થા ચાલતી હોય છે.આ લોકો કોઇ પણ ભોગે કામ પૂરું કરવાની નેમ વાળા હોય છે.ઇતિહાસ સાક્ષી છે કે દિલ દઇને કામ કરનારા સફળતાને વરે છે.
તેઓ સ્વયંપ્રેરિત તેમજ 100ટકા કામના આગ્રહી હોય છે. કોઇપણ ભોગે કાર્યને પૂર્ણતા તરફ લઇ જનારી વ્યકિતઓ નસીબદાર સંસ્થાને મળે છે.
ઇતિહાસ ગવાહ છે કે જીવનમાં સફળ થનાર વ્યકિતઓ નેગેટીવીટીથી હંમેશા દુર રહ્યા છે. કોઇ જુએ છે કે નથી જોતું એની ચિંતા કર્યા વગર લાંબા સમય સુધી કામમા મથ્યા રહેવું એ એક સાઘના છે. કોઇપણ ઇન્ડસ્ટ્રી, ઇન્ટીટ્યુટ કે ઓર્ગેનાઇઝેશન આવા નિષ્ઠાવાન પાંચ-દસ માણસોના આધારે ચાલતી હોય છે. હંમેશા લઘુમતિમાં રહેવા છતા તેઓ સમાજની ધરોહર હોય છે. ‘કામ કરવું ને પુરી લગનથી કરવું ’ તેમનો મુદ્રાલેખ હોય છે.તેઓ વળતર કરતાં બમણું કામ કરનારા, ગુણવત્તા અને પૂર્ણતાના આગ્રહી હોય છે. જોબસેટીસ્ફેક્શન મેળવતા હોઇ હંમેશા આનંદિત રહે છે. આનંદિત વ્યક્તિઓ સફળ રહે છે. જો તમે વળતર કરતાં બમણુ કામ કરો છો અને પ્રસન્ન રહો છો;તો ઉજ્જ્વળ ભવિષ્ય તમારી રાહ જુએ છે.
મિસરી
કામ એવું કરો કે
લોકો એક્કી અવાજે બોલી ઊઠે:
‘તુ રહેવા દે
અમે કરી લેશુ’.(અજ્ઞાત)