નવી દિલ્હી : રાજસ્થાનના અલવર બાદ મંદિર અને બુલડોઝરનો વિવાદ હવે દેશની રાજધાની દિલ્હી સુધી પહોંચી ગયો છે. આ મામલે આમ આદમી પાર્ટી આ મંદિરના બચાવમાં આવી છે. કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય (MoHUA) દ્વારા આ મંદિરને એક નોટિસ મોકલવામાં આવી છે. શનિવારના રોજ આમ આદમી પાર્ટીના નેતાઓએ દક્ષિણ દિલ્હીના શ્રીનિવાસપુરીમાં આ મંદિરને હટાવવાની નોટિસનો પુરજોર વિરોધ કર્યો છે. આ નોટિસ મળ્યા બાદ સ્થાનિક નિવાસીઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. જેને કારણે દિલ્હીનું રાજકારણ પણ ગરમાયું છે. તમને જણાવી દઈએ કે શ્રીનિવાસપુરી દિલ્હીની એક એવી જગ્યા છે જેનો કેન્દ્રીય એજન્સીઓ દ્વારા પુનઃવિકાસ કરવામાં આવી રહ્યો છે.
MoHUA દ્વારા શ્રીનિવાસપુરીના નીલકંઠ મહાદેવ મંદિરના પ્રવેશ દ્વાર પર 13 એપ્રિલના રોજ અતિક્રમણની નોટિસ ચોંટાડવામાં આવી છે. નોટિસમાં લખ્યું છે કે, તમે શ્રીનિવાસપુરીની પરિયોજના સ્થળ પર આ ધાર્મિક સંરચનાનું નિર્માણ કર્યું છે, જે ભારત સરકાર/L&D જમીન છે અને તમે આ સરકારી જમીન પર અનધિકૃત રીતે કબજો કર્યો છે.
આ નોટિસમાં દિલ્હી હાઈકોર્ટના WP(c) 5234/2011 ભીમ સેન અને AR વિરુદ્ધ MCD અને અન્ય આદેશોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમાં લખવામાં આવ્યું છે કે, આ સંદર્ભે હાઈકોર્ટે દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જ્યાં મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવી છે તે ભાગ સિવાય અનધિકૃત બાંધકામ ધ્વસ્ત કરી શકાય છે. MoHUA ની નોટિસ અનુસાર મંદિરના પ્રભારીઓએ પરિસર ખાલી કરી દેવું જરૂરી છે.
આ મામલે મંદિરના પુજારી આચાર્ય રંજન પ્રસાદ પરાસરે કહ્યું કે, આ મંદિરનો જીર્ણોદ્ધાર 2002માં કરવામાં આવ્યો હતો અને ત્યારથી હું આ મંદિરનો મુખ્ય પૂજારી છું. આ નીલકંઠ મહાદેવ મંદિરમાં સ્થાનિક લોકોની આસ્થાઓ જોડાયેલી છે. કેન્દ્ર સરકારની એજન્સી તરફથી અમને આ નોટિસ મળી છે. નોટિસમાં કહેવામાં આવ્યું છે કે મંદિરનું નિર્માણ સરકારી જમીન પર કરવામાં આવ્યું છે. તે જ સમયે, મંદિર ટ્રસ્ટનું સંચાલન કરતી સમિતિ સાથે જોડાયેલા લોકોએ કહ્યું – અમે ઇચ્છીએ છીએ કે મંદિરને સ્પર્શ ન કરવામાં આવે.
આ સંદર્ભમાં બીજી તરફ AAPના વરિષ્ઠ નેતા આતિશી અને સ્થાનિક ધારાસભ્ય મદનલાલ MoHUA ની નોટિસનો વિરોધ કરવા તાત્કાલિક ધોરણે સ્થળ પર પહોંચી ગયા હતા. AAP ના સીનિયર નેતાઓએ કહ્યું કે, દિલ્હી હાઈકોર્ટનો આદેશ 10 વર્ષ જૂનો છે. ભાજપનું અચાનક 10 વર્ષ જૂના આદેશને કેમ યાદ કરવાનું કારણ શું છે? વધુમાં કાલકાજી ધારાસભ્યએ કહ્યું, કે આ મંદિર ઓછામાં ઓછા 25 વર્ષ જૂનું છે. શું આ બુલડોઝરની રાજનીતિ લોકોની આસ્થાને કચડી રહી છે? અમે આ મંદિર પર બુલડોઝર નહીં ચલાવવા દઈએ. આમ આ મંદિરના સપોર્ટમાં આમ આદમી પાર્ટી પુરજોશ સાથે કેન્દ્રના વિરોધમાં ઊભી રહી ગઈ છે.