રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા આજે 25 એપ્રિલે ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીના સમર્થનમાં એક જ દિવસે સમગ્ર રાજ્યમાં વિરોધ પ્રદર્શનના કરવામાં આવેલા એલાનને પગલે સમગ્ર રાજ્યમાં ઠેર-ઠેર કાર્યક્રમો કરવામાં આવ્યા છે અને સમગ્ર રાજ્યમાં હજારોની સંખ્યામાં લોકો રસ્તા ઉપર ઉતરેલા જોવા મળ્યા.
સમગ્ર રાજ્યમાં અનેક સંગઠનો અને ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીના સમર્થકો દ્વારા સ્થાનિક સરકારી તંત્રના વડાના માધ્યમથી રાજ્યપાલને આવેદન આપવામાં આવ્યું જેમાં એક ચુંટાયેલા અને ધારાસભ્ય કક્ષાના વ્યક્તિની આસામ પોલીસ દ્વારા મધ્ય રાત્રીએ આતંકવાદી હોય એમ ધરપકડ કરીને આસામમાં લઇ જવાની ઘટનાના વિરોધમાં ગૃહમંત્રીથી લઈને મુખ્યમંત્રી સુધી ચુપ છે અને આ પ્રક્રિયા મુદ્દે મૌન તોડવા તૈયાર નથી એના માટે નારાજગી વ્યક્ત કરીને આ સરકાર તાત્કાલિક આ મુદ્દે પગલાં ભરે અને રાજ્યના નાગરિકોના બંધારણીય મુળભુત હક્કોનું રક્ષણ કરે એ મુજબનો આદેશ કરવાનો માંગ કરવામાં આવી.
અત્રે નોંધનીય છે કે ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીને પ્રધાનમંત્રીને શાંતિની અપીલ માટે tweet કરવા અંગેની ફરીયાદમાં કોન્કરાઝાર પોલીસ સ્ટેશનમાંથી જામીન મળી ગયા છે પરંતુ આસામમાં બારપેટા પોલીસ મથકે નોંધાયેક ફરિયાદ નં. 81/2022 ના કામે એમની ફરીથી ધરપકડ કરવામાં આવી છે અને અન્ય જગ્યાએ પણ ફરિયાદ નોંધાઇ હોવાની શક્યતાઓ રહેલી છે. આ સમગ્ર મામલામાં ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીને રાજકીય કિન્નાખોરી રાખીને પરેશાન કરવામાં આવી રહયા હોવાનો તમામ લોકોમાં સંદેશ જઇ રહ્યો છે જેનાથી આગામી દિવસોમાં સમગ્ર ગુજરાતમાં ફરીથી દલિતો અને અન્ય પ્રગતિશીલ સાથીઓ રસ્તા ઉપર જોવા મળે તો નવાઈ નહીં.