આગામી વિધાનસભાની ચૂંટણીને લઇને ભારતીય જનતા પાર્ટી તેમજ કોંગ્રેસ પાર્ટી દ્વારા અંતરિયાળ વિસ્તારોમાં ડેરો જમાવવાની તૈયારીઓ કરી દીધી હોય તેવું સ્પષ્ટ લાગે છે. દાહોદમાં પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વિશાળ રેલી અને હવે રાહુલ ગાંધીની રેલી યોજાવા જઈ રહી છે, આ માટે કોંગ્રેસ પાર્ટી દ્વારા તૈયારીઓ તેજ કરવામાં આવી છે.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આગામી 10 મી મે ના રોજ દાહોદ ખાતે પહોંચશે અને આદિવાસી સત્યાગ્રહ યાત્રામાં ઉપસ્થિત રહેશે. દાહોદના નવજીવન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ગ્રાઉન્ડ ખાતે જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે 1.50 લાખ લોકો આવવાનો અંદાજ છે, જેને લઇને પોલિસ બંદોબસ્ત ચુસ્ત કરવામાં આવ્યો છે. જિલ્લા પોલિસ વડા સહિતના ઉચ્ચ અધિકારીઓ સ્થળ તપાસ કરી હતી અને પોલિસ બંદોબસ્ત તેમજ સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું.
રાહુલ ગાંધીની દાહોદ ખાતે યોજાનાર સત્યાગ્રહ યાત્રામાં દાહોદ સહિત પંચમહાલ, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા અને છોટા ઉદેપુર સહિતનાં જિલ્લાઓમાંથી કાર્યકરો પહોંચવાના છે.