આઈપીએલ 2022 સમાપ્ત થતાંની સાથે જ ટીમ ઈન્ડિયાએ ઘણી ક્રિકેટ સીરીઝ રમવાની છે. સૌથી પહેલા સાઉથ આફ્રિકા સામે 5 મેચની ટી20 સિરીઝ છે. આ સાથે જ સમગ્ર વિશ્વની નજર ઈંગ્લેન્ડ સામેની એકમાત્ર ટેસ્ટ મેચ પર પણ રહેશે. આવી સ્થિતિમાં BCCIએ આ બંને સિરીઝ માટે એક ખાસ પ્લાન તૈયાર કર્યો છે. આ બંને સિરીઝ માટે બે અલગ-અલગ ટીમ ઈન્ડિયા બનાવવામાં આવશે.
ઈંગ્લેન્ડ પ્રવાસ માટે કેપ્ટન હશે રોહિત
રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળની ટેસ્ટ ટીમ 5 મેચોની ટેસ્ટ સિરીઝની છેલ્લી મેચ રમવા માટે જુલાઈમાં ઈંગ્લેન્ડ જશે. ઉલ્લેખનીય છે કે ભારત આ સિરીઝમાં 2-1થી આગળ છે. ગયા વર્ષે આ સીરિઝ કોરોનાને કારણે અધવચ્ચે જ અટકાવી દીધી હતી. આ ટીમમાં નિયમિત ખેલાડીઓ વિરાટ કોહલી, જસપ્રિત બુમરાહ, કેએલ રાહુલ, મોહમ્મદ શમી, રવિચંદ્રન અશ્વિન અને કાઉન્ટીમાં ધમાલ મચાવનાર ચેતેશ્વર પૂજારાને તક આપવામાં આવશે. અહેવાલ મુજબ આ તમામ ખેલાડીઓ દક્ષિણ આફ્રિકા સામેની ઓછામાં ઓછી 3 ટી20 મેચો માટે રેસ્ટ પર રહેશે.
સાઉથ આફ્રિકા સીરીઝમાં મળશે યુવાઓને તક
જ્યારે એવા સમાચાર પણ છે કે IPL 2022માં શાનદાર પ્રદર્શન કરનારા યુવા ખેલાડીઓને સાઉથ આફ્રિકા સિરીઝમાં સ્થાન મળશે. ખાસ કરીને યુવા ફાસ્ટ બોલર ઉમરાન મલિક, તિલક વર્મા, અર્શદીપ સિંહ, આવેશ ખાન અને જીતેશ શર્માને તક આપવામાં આવે તે નિશ્ચિત છે. આ ટીમની કમાન શિખર ધવનને સોંપવામાં આવી શકે છે. આ સાથે જ આ ટીમમાં હાર્દિક પંડ્યા જેવો અનુભવી ઓલરાઉન્ડર પણ છે. આશા છે કે આ ટીમ આયર્લેન્ડ સામે પણ રમશે.
ગત વર્ષે પણ રમી હતી બે ટીમો
ગત વર્ષે શ્રીલંકા સામેની સિરીઝ માટે પણ ટીમ ઈન્ડિયાની બે ટીમોની પસંદગી કરવામાં આવી હતી. જ્યારે વિરાટ કોહલીની કેપ્ટનશીપ હેઠળની સિનિયર ટીમ ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝમાં ટકરાઈ રહી હતી, જ્યારે ધવનની કેપ્ટનશીપ હેઠળની યુવા ટીમ શ્રીલંકાનો સામનો કરી રહી હતી. આ ટૂરમાં પ્રથમ વખત રાહુલ દ્રવિડને ટીમનો કોચ બનાવવામાં આવ્યો હતો. જો કે આ સિરીઝમાં કોરોનાના કેસ વધતા ટીમને ઘણી સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો.