હાલ આકરો ઉનાળો છે ત્યારે કેટલાક વિસ્તારોમાં પાણીની સમસ્યાઓ ચાલી રહી છે આ વચ્ચે રેલીયોજી ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી હતી કે, જો તેમની માંગ સ્વીકારવામાં નહીં આવે તો થરાદમાં પણ ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને જરૂર પડ્યે ગાંધીનગરમાં વિધાનસભાનો ઘેરાવ પણ કરવામાં આવશે,
બનાસકાંઠાના થરાદમાં સિંચાઇ અને પીવાના પાણીની માંગ સાથે નર્મદા કમાન્ડ એરિયા બહારના 97 ગામોને નર્મદા કમાન્ડ એરિયામાં સમાવેશની માંગને લઇને ખેડૂતોની લવાણાથી થરાદ સુધી બાઇક રેલી નીકળી હતી. જેમાં મોટી સંખ્યામાં યુવાન ખેડૂતો જોડાયા હતા.
ખેડૂતોએ થરાદ નાયબ કલેકટરને આવેદનપત્ર પાઠવીને ખેડૂતોની માંગ સ્વીકારવા રજૂઆત કરી હતી અને જો માંગ નહીં સ્વીકારાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. બનાસકાંઠા જિલ્લાના દિયોદર,પાલનપુર અને વડગામ બાદ હવે થરાદમાં પણ જળ આંદોલનના એંધાણ વર્તાઇ રહ્યા છે. આજે થરાદના 100 ગામોના યુવા ખેડૂતો દ્વારા થરાદ તાલુકાના લવાણા ગામથી થરાદ સુધી વિશાળ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
થરાદ સહિત સરહદી વિસ્તારમાં સિંચાઇ અને પીવાના પાણીની માંગ સાથે મોટી સંખ્યામાં યુવાન ખેડૂતો બાઇક રેલી માં થરાદના લવાણા ગામથી નીકળ્યા હતા. ખેડૂતોની માંગ છે કે નર્મદા કમાન્ડ એરિયા 97 ગામોને સમાવેશ કરવામાં આવે અને સુજલામ સુફલામ કેનાલ રાજસ્થાન સુધી લંબાવવામાં આવે અને કેનાલમાં પાણી છોડવામાં આવે.