ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ પદેથી રાજીનામું આપ્યાને 16માં દિવસે આજે હાર્દિક પટેલ ભાજપમાં જોડાય રહ્યા છે. ત્યારે આ મામલે પાટીદાર અનામત આંદોલનના મોટા ગજાના નેતા અલ્પેશ કથીરિયાએ મોટું નિવેદન આપ્યું છે.
તેમણે હાર્દિક પટેલને અભિનંદન પાઠવી તમે ભાજપમાં જાઓ પણ સમાજના લાંબા સમયના 2 મોટા પ્રશ્નનો નિવેડો આવે તે દિશામાં તાત્કાલિક કામ કરજો. સમાજ સેવાના નામે ભાજપમાં સામેલ થયા બાદ સમાજની વર્ષો જૂની માંગ પર તમે શુ કરો છો તે જોવું રહ્યું. તેમ અલ્પેશ કથીરિયાએ ઉમેર્યું હતું.
આ મામલે પાસના નેતા અલ્પેશ કથીરિયાએ મીડિયામાં નિવેદન આપતા જણાવ્યુ હતું કે, 2015માં આંદોલન વેળાએ પાટીદાર સમાજના યુવાનો પર કેસ થયા હતા અને આંદોલન હિસંક બનતા આશરે 14 પાટીદાર યુવકોના જીવ પણ ગયા હતા. ત્યારબાદ યુવાનો પર લગાવવામાં આવેલા કેસો પરત ખેંચવામાં આવે અને શહીદ યુવાનોના પરિવારજનોને નોકરી અપવામાં આવે આ મામલે સરકાર સમક્ષ અનેક વખત ખોળો પાથર્યો હોવા છતા આ પ્રશ્નો ઉકેલાયા નથી.
આ મામલે સરકાર તરફથી અશ્વાસન સિવાય કાઇ મળ્યું નથી.અલ્પેશ કથીરિયાએ વધુમાં જણાવ્યુ હતું કે, આંદોલન બાદ પાસ, સમાજની સંસ્થાઓ અને આગેવાનો દ્વારા અનેક વખત સરકાર સમક્ષ આ પ્રશ્નો અંગે રજૂઆત કરવામાં આવી છે. ત્યારબાદ રાજ્યમાં 3 જેટલા મુખ્યમંત્રી પણ બદલાયા છે છતાં આ વાયદાનો અંત આવ્યો નથી.