સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર કે. રાજેશ સામે સીબીઆઇની તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે ત્યારે એકદમ ખાનગી રીતે સીબીઆઇની ટીમ શહેરમાં ધામા નાખીને તપાસ કરી રહી છે. આવા સમયે સુરેન્દ્રનગરની બૅન્કના લૉકરમાંથી કીમતી સામાન અને રોકડા રૂ. 5 કરોડ મળ્યા હોવાની વાતો વહેતી થઈ છે.
અનેક કૌભાંડો કર્યાં હોવાની ફરિયાદ CBIની તપાસ સુરેન્દ્રનગર જિલ્લાના પૂર્વ કલેક્ટર કે. રાજેશે હથિયારનાં પરવાના, જમીન સહિતનાં અનેક કૌભાંડો કર્યાં હોવાની ફરિયાદના આધારે સીબીઆઇએ કેસ દાખલ કરીને તપાસ હાથ ધરી છે ત્યારે સુરેન્દ્રનગરમાં ૦૯ જેટલા દિવસથી સીબીઆઇ રોકાઈને તપાસ કરીને પુરાવા મેળવવા માટે પ્રયાસ કરી રહી છે. બીજી બાજુ સોશિયલ મીડિયાથી લઈને શહેરમાં એવી ચર્ચાઓ ચાલી રહી છે કે સીબીઆઇની ટીમે કે. રાજેશનું વધુ એક બૅન્ક લૉકર ખોલ્યું હતું, જેમાંથી કીમતી સામાનની સાથે રોકડા રૂ. 5 કરોડ મળી આવ્યા હતા. આ ઉપરાંત કે. રાજેશના ‘એચપી’ તરીકે ઓળખાતા ખાસ માણસની પણ જોરશોરથી ચર્ચાઓ ચાલી રહી છે. આટલું જ નહીં મોરબીના એક રાજકીય આગેવાનના ભત્રીજાનું નામ ખૂલવાની વાતો પણ વહેતી થઈ રહી છે. સીબીઆઈ વધુ પુરાવા એકત્ર કરી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે પૂર્વ કલેકટર વિરૂદ્ધ થયેલ અનેક અરજીઓના સંદર્ભે હાલ તપાસ ચાલી રહી છે ત્યારે બેંક લોકરમાં થી રોકડ રૂ.૦૫ કરોડ અને કિંમતી સામાન મળી આવતા અનેક ચર્ચાઓ વહેતી થવા લાગી હતી.
