ભારતીય ક્રિકેટ ટીમ સાઉથ આફ્રિકા વિરૂદ્ધ 5 મેચની ટી-20 સીરિઝ રમવા ઉતરશે. ઘર આંગણે રમાનારી આ સીરિઝ માટે કેએલ રાહુલને કમાન સોપવામાં આવી છે. પ્રથમ મેચ દિલ્હીના અરૂણ જેટલી સ્ટેડિયમમાં રમાશે જેની માટે બન્ને ટીમ પહોચી ગઇ છે. ભારતીય ટીમ 5 જૂને અહી પહોચી હતી જ્યારે સાઉથ આફ્રિકાની ટીમ 2 જૂને અહી પહોચી હતી.
ભારતીય ટીમના ખેલાડી દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ રમાનારી સીરિઝ માટે દિલ્હી પહોચી ગયા છે. ટીમના ખેલાડીઓએ સીરિઝની શરૂઆત પહેલા 6 જૂન સાંજે પ્રેક્ટિસ સેશનમાં ભાગ લેવાનો છે. દક્ષિણ આફ્રિકાની ટીમ અહી પહેલાથી જ પ્રેક્ટિસ કરી રહી છે. સોમવારે મહેમાન ટીમ સાથે ભારતે પણ પ્રેક્ટિસ કરવાની છે. આ સીરિઝ માટે સીનિયર ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે. ઉમરાન મલિક, અર્શદીપ સિંહ, અવેશ ખાન, રવિ બિશ્નોઇ અને હર્ષલ પટેલ પાસે અનુભવ ભલે ઓછો હોય પરંતુ પ્રદર્શન ઘણુ સારૂ રહ્યુ છે.
કેએલ રાહુલ પર દબાણ
કેપ્ટન તરીકે રાહુલનો અનુભવ અત્યાર સુધી વધુ સારો રહ્યો નથી. દક્ષિણ આફ્રિકા પ્રવાસે વિરાટ કોહલીના ઇજાગ્રસ્ત થયા બાદ તેને પ્રથમ ટેસ્ટ અને પછી વન ડે સીરિઝમાં કેપ્ટન્સી કરવાની તક મળી હતી. બન્ને વખત તે નિષ્ફળ સાબિત થયો હતો. વન ડેમાં તો ટીમ ક્લીન સ્વિપ થઇ હતી.
આઇપીએલમાં સારૂ પ્રદર્શન
યુવા ફાસ્ટ બોલર ઉમરાન મલિક, અર્શદીપ સિંહ જેવા યુવાઓને આઇપીએલમાં સારૂ પ્રદર્શન કરવાનું ઇનામ પસંદગીકારોએ આપ્યુ છે. બીજી તરફ ઇજામાંથી વાપસી કરીને ટૂર્નામેન્ટમાં સારૂ પ્રદર્શન કરનારા ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા, વિકેટકીપર દિનેશ કાર્તિક અને કુલદીપ યાદવને પણ સીરિઝમાં ટીમમાં જગ્યા આપવામાં આવી છે.
ભારતીય ટી-20 ટીમ
કેએલ રાહુલ (કેપ્ટન), રૂતુરાજ ગાયકવાડ, ઇશાન કિશન, દીપક હુડ્ડા, શ્રેયસ અય્યર, રિષભ પંત (વાઇસ કેપ્ટન, વિકેટકીપર), દિનેશ કાર્તિક, હાર્દિક પંડ્યા, વેંકટેશ અય્યર, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, રવિ બિશ્નોઇ, ભૂવનેશ્વર કુમાર, હર્ષલ પટેલ, અવેશ ખાન, અર્શદીપ સિંહ, ઉમરાન મલિક