અરવલ્લી જિલ્લામાં વિકાસના કામો ચાલી રહ્યા છે, પણ મોડાસા નગર પાલિકા વિસ્તારમાં પાલિકા ઇતિહાસમાં પ્રથમવાર ફૈલ હોય તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. શહેરમાં ઠેર ઠેર ભૂગર્ભ ગટર લાઈનને કારણે ખાડારાજ જોવા મળી રહ્યું છે, જેથી શહેરીજનો તોબા પોકારી ઉઠ્યા છે. તો બીજી બાજુ ઉચ્ચ નેતાઓ પણ રખડતા ઢોરને લઇને ટકોર કરી ચૂક્યા છે, પણ પાલિકા રખડતા ઢોરના નિરાકરણ માટે સદંતર નિષ્ફળ નિવળ્યું હોય તેવા દ્રશ્યો ફરીથી સામે આવ્યા છે.
મોડાસા શહેરના ડીપ વિસ્તારમાં વહેલી સવારે ખૂંટિયાઓનું તાંડવ જોવા મળ્યું, બે ખૂંટિયા વચ્ચે રસ્તાની બરોબર વચ્ચે જંગ જામ્યો હતો, જેને લઇને વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા હતા. જંગ એવો જામ્યો કે, પાંચ મિનિટ સુધી લોકોના જીવ તાંડવે ચોંટી ગયા હતા, કારણ કે, કોઇપણ સમયે વાહન ચાલકને અડફેટે લઇ શકતા અથવા તો રાહદારી માટે પણ ખૂંટિયાઓ મુશ્કેલીનું કારણ બની શકતા હોત. થોડા દિવસ અગાઉ જુના પોલિસ સ્ટેશન નજીક પણ આવી જ રીતે બે ખૂંટિયાઓ વચ્ચે ભારે જંગ જામી હતી, ભર બજારે રાત્રિના અરસામાં બે ખૂંટિયાઓનો જંગ જામતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો, ત્યારે ફરીથી આવી જ ઘટના સામે આવતા લોકોમાં રોષ વ્યાપી ગયો છે.
મોડાસા શહેરમાં રખડતા ઢોર મામલે રીઝનલ કમિશનરે પણ આ બાબતે ગંભીરતા દાખવી હતી, ત્યારબાદ પૂર્વ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ પણ આ બાબતે ગંભીર નોંધ લીધી હતી, તેમ છતાં હજુ શહેરના કેટલાક વિસ્તારોમાં રખડતા ઢોરનો અસહ્ય ત્રાસ જોવા મળી રહ્યો છે.
સળગતા સવાલો
રખડતા ઢોરને લઇને જો કોઇ દુર્ઘટના સર્જાય તો જવાબદારી કોણ લેશે..?
રખડતા ઢોર મામલે યોગ્ય કાર્યવાહી કરવાની જવાબદારી પાલિકાની નથી કે શું..?
રખડતા ઢોર વચ્ચે ક્યાં સુધી લોકો જીવના જોખમે બહાર નિકળશે…?
જ્યારે કોઇ વ્યક્તિ કહ્યામાં નથી હોતો ત્યારે ઉમપા ઢોર તરીકે આપતા હોઇએ છીએ, ત્યારે પાલિકા દ્વારા કેટલાય સમયથી રખડતા ઢોર મુદ્દે મૌન સેવ્યું છે ત્યારે પાલિકાને કઇ ઉપમા આપી શકાય તેવી લોકચર્ચાએ જોર પકડ્યું છે.
ખૂંટિયા વચ્ચે ખરાખરીનો જંગ