ભગવદ્ ગીતાના અભ્યાસની જાહેરાત થોડા સમય પહેલા ગુજરાતના શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીએ કરી હતી. હવે છઠ્ઠાથી બારમા ધોરણના વિદ્યાર્થીઓ માટે ભગવદ્ ગીતાનું શિક્ષણ ફરજિયાત કરવામાં આવ્યું છે. તેના હેઠળ આગામી શૈક્ષણિક સત્ર દરમિયાન ભગવદ્ ગીતાના 50 લાખ પુસ્તકો આપવામાં આવશે. આમ ભગવદ ગીતાને અભ્યાસક્રમમાં સમાવનારુ ગુજરાત પ્રથમ રાજ્ય બનશે. રાજ્ય સરકાર આને મૂલ્ય આધારિત શિક્ષણની દિશામાં આગળ વધવાના પ્રયાસ તરીકે જુએ છે.
આ સાથે ગુજરાત ભગવદ્ ગીતાને અભ્યાસક્રમમાં લાવનારું પ્રથમ રાજ્ય બન્યું છે. ભવિષ્યમાં ગુજરાતના પગલાને બીજા રાજ્યો પણ અનુસરી શકે છે. જો કે ગુજરાત સરકારે તેની જાહેરાત બજેટ વખતે જ કરી દીધી હતી.
આમ શ્રીમદ્ ભાગવત ગીતાને ગુજરાતની શાળાઓમાં છઠ્ઠાથી બારમા ધોરણ સુધીના અભ્યાસક્રમનો હિસ્સો બનાવવામાં આવશે. ગુજરાત સરકારે આ જાહેરાત કરી છે. નવી શિક્ષણ નીતિમાં આ જાહેરાત કરવામાં આવી છે. આમ હવે ગુજરાતની બધી શાળાઓ છઠ્ઠાથી બારમા ધોરણમાં ભગવદ્ ગીતાના સિદ્ધાંત અને મૂલ્ય ભણાવશે.
શાળાના બાળકો ગીતા અને તેના મૂલ્યોને જાણે તે માટે વાકપટુતા સ્પર્ધા, કવિતા ગાયન અને ગીતા પર સાહિત્યનું પણ આયોજન કરવામાં આવશે. નવા શૈક્ષણિક વર્ષના પ્રારંભમાં બધા વિદ્યાર્થીઓને પુસ્તિકા પૂરી પાડવાનો પ્રયત્ન કરવામાં આવશે. આ મહિનાના અંતિમ સપ્તાહમાં યોજાનારા ત્રણ દિવસના પ્રવેશોત્સવમાં વિદ્યાર્થીઓને મોટી સંખ્યામાં ગીતા આપવામાં આવશે.
જો કે સરકાર તે કહેવા તૈયાર નથી કે ગીતાના જ્ઞાનનું મૂલ્યાંકન કેવી રીતે કરવામાં આવશે. સરકારી સ્કૂલોમાં આ પુસ્તક મફત પૂરુ પાડવામાં આવશે. જ્યારે ખાનગી સ્કૂલોના વિદ્યાર્થીઓએ તે ખરીદવી પડશે. પણ જે ખાનગી સ્કૂલો તેને અભ્યાસક્રમમાં સામેલ કરવા ઇચ્છતી હોય તે જ તેને ખરીદશે.
મહાત્મા ગાંધી, રવિન્દ્રનાથ ટાગોર અને કેટલાક વિદેશી લેખકોએ ભગવદ્ ગીતા અંગે જે કહ્યું છે તેને પણ તેમા સમાવવામાં આવશે. જ્યારે ઉપલા વર્ગના વિદ્યાર્થીઓ ગીતાનો વિસ્તારપૂર્વક અભ્યાસ કરશે. ગીતાના 18મા અધ્યાયમાં વ્યક્ત કરવામાં આવેલા મુખ્ય વિચારોને ઉપલા ધોરણોમાં ભણાવવામાં આવશે. તેના માટે સરકારી સ્કૂલોના શિક્ષકો માટે એક તાલીમ સત્ર યોજવામાં આવશે.