અરવલ્લી જિલ્લાને યુનિવર્સિટી ફાળવવાની માંગ ફરી ઉગ્ર બની છે અને આ વખતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે આ માંગ પ્રબળ બનાવી છે. યુનિવર્સિટી પાટણ ખાતે હોવાથી વિદ્યાર્થીઓને 250 કિ.મી. નો ધક્કો ખાવો પડી રહ્યો છે, જેને લઇને નાણા અને સમયનો વ્યય થતાં હવે એ.બી.વી.પી.ના આગેવાનો આગળ આવ્યા છે. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ ખાતે 520 જેટલી કોલેજ જોડાયેલી છે, અને તમાં અરવલ્લી અને સાબરકાંઠાની 80 જેટલી કોલેજના લાખો વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે પણ આ તમામ વિદ્યાર્થીઓને હાલાકીઓનો સામનો કરવો પડી રહ્યો છે. કારણ કે, નાના-નાના કામકામજ માટે પાટણ યુનિવર્સિટીના ધક્કા ખાવા પડતા હોય છે. વિદ્યાર્થીઓની હાલાકીઓને લઇને અરવલ્લી જિલ્લાને અલગથી યુનિવર્સિટી આપવાની માંગ સાથે જિલ્લા કલેક્ટરને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.
આવેદન પત્રમાં જણાવ્યું હતું કે, સાબરકાંઠા જિલ્લાના પોશીનાથી લઇને વિજયનગર તેમજ અરવલ્લી જિલ્લાના ભિલોડાથી લઇને માલપુર – મેઘરજ જેવા અંતરિયાળ તાલુકાના વિદ્યાર્થીઓને નાની નાની સમસ્યાઓ માટે પાટણ સુધી જવાનો વારો આવે છે, જેથી સમય અને નાણાનો વ્યય થાય છે. વિદ્યાર્થીઓને એલીજીબિલિટી સર્ટિફિકેટ – ગુણચકાસણી – માઈગ્રેશન – ડિગ્રી સર્ટી – નામ, અટક, જાતિ ફેરફાર જેવા સામાન્ય કાર્ય માટે પણ યુનિવર્સિટી કેન્દ્ર પાટણ જવું પડતું હોય છે જે માટે વાહનવ્યવહારની અગવડતાને કારણે નાના નાના કાર્ય માટે ભારે હાલકી વેઠવી પડે છે, ક્યારેક કાર્ય વિલંબમાં મુકાય તો એક-બે દિવસ રાત્રી રોકાણ પણ કરવું પડે છે અથવા વારંવારના ધક્કા પણ થતા હોય છે. જેના લીધે વિદ્યાર્થીઓનું શૈક્ષણિક કાર્ય પણ બગડતું હોય છે.
સાબરકાંઠા અને અરવલ્લીના 1 લાખ 10 હજાર થી વધારે વિદ્યાર્થીઓ ની વારંવાર પડતી મુશ્કેલીઓ ને વાચા આપવા માટે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા સાબરકાંઠા અને અરવલ્લી માટે એક અલગ રાજ્યકક્ષા યુનિવર્સિટી ની માંગણી છેલ્લા કેટલાય વર્ષોથી કરતી રહી છે ત્યારે ત્યારે લોલીપોપ સમાન યુનિવર્સિટી નું શોભાન ગાંઠિયા સમાન સબ સેન્ટર આપવામાં આવ્યું છે, જ્યાં કોઈ પણ સમસ્યાનું નિવકારણ આવતું નથી અને અગમ્ય કારણોસર વિદ્યાર્થીઓની આ જરૂરિયાત માંગ માટે દુર્લક્ષ સેવાઇ રહ્યું છે જેનાથી વિદ્યાર્થીમાનસમાં દુઃખ અને રોષની લાગણી હોય એ સ્વાભાવિક છે.
યુનિવર્સિટીની માંગ નહીં સંતોષાય તો આંદોલનની ચીમકી..!!
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ વિદ્યાર્થી હિતને લઈને સાબરકાંઠા અને અરવલ્લી માટે એક અલગ યુનિવર્સિટી આપવામાં આવે એમ સ્પષ્ટપણે માનવું છે. જેથી આ મુદ્દા ને લઈને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લા દ્વારા જિલ્લા કલેકટર ના માધ્યમ થી શિક્ષણ મંત્રી ને આવેદન આપવા માં આવ્યું અને નજીકના ભવિષ્યમાં અલગ યુનિવર્સિટી સંદર્ભમાં પુખ્ત વિચારણા કરી વિદ્યાર્થીઓની માંગણીને સંતોષવા સાદર વિનંતી કરી સાથે જ આગામી સમયમાં વિદ્યાર્થી પરિષદની આ માંગ સ્વીકારવામાં નહીં આવે તો સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લા ના વિદ્યાર્થીઓ તબક્કા વાર આંદોલન કરવામાં આવશે.