નવી દિલ્હી: આસામમાં પૂરની સ્થિતિ વધુને વધુ વિકટ બનતી જાય છે. આસામમાં પૂરને કારણે 32 જિલ્લાઓમાં, 55 લાખ લોકો પ્રભાવિત થયા હતા અને સાત લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ સાથે જ મોરીગાંવ જિલ્લામાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ-37નો મોટો ભાગ હવે ઘર છોડવા માટે મજબૂર થયેલા લોકો માટે આશ્રયસ્થાન બની ગયો છે. પૂરના પાણીને કારણે તેમના ઘરો સંપૂર્ણપણે ડૂબી ગયા હતા.
અધિકારીઓએ કહ્યું છે કે બ્રહ્મપુત્રા નદી અને બરાક નદી સહિત તેમની ઉપનદીઓમાં પાણીનો વધારો થઈ રહ્યો છે. પૂરગ્રસ્ત નલબારી અને કામરૂપ જિલ્લાઓમાં રાહત શિબિરોની મુલાકાત લેતા મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સરમાએ કહ્યું કે, ટૂંક સમયમાં પેકેજની જાહેરાત કરવામાં આવશે.
તેમણે કહ્યું, “અમારી સરકાર ટૂંક સમયમાં અસરગ્રસ્ત લોકો માટે એક પોર્ટલ શરૂ કરશે, જેમાં પૂરથી થયેલા નુકસાન અને અન્ય નુકસાનની નોંધ કરી શકાશે. પૂર રાહત પેકેજની પણ ટૂંક સમયમાં જાહેરાત કરવામાં આવશે.”
બરાક અને કુશિયારાના પાણીના સ્તરમાં વધારો થવાથી કરીમગંજ અને કચર ખરાબ રીતે પ્રભાવિત થયા છે. અધિકારીઓએ જણાવ્યું કે, કચરમાં, 506 ગામોમાં 2.16 લાખ લોકો પ્રભાવિત છે, જ્યારે કરીમગંજમાં, 454 ગામોમાં 1.47 લાખ લોકો પ્રભાવિત થયા છે.
આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (ASDMA) અનુસાર, રાજ્યના 36 માંથી 32 જિલ્લામાં 55,42,053 લોકો પ્રભાવિત થયા છે.