અષાઢી બીજના રોજ સમગ્ર દેશ સહિત રાજ્યમાં રથયાત્રાની ઉજવણી કરવામાં આવી હતી, ત્યારે અરવલ્લી જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાઓ નિકળી હતી. મોડાસા સહિત ભિલોડા ના શામળાજી પંથકમાં પણ ભગવાન શામળિયા નગરચર્યાએ નિકળ્યા હતા, જ્યાં ભક્તોને દર્શન આપ્યા હતા.
ગુજરાત અને રાજસ્થાન સીમા પર અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના શામળાજીમાં બિરાજમાન ભગવાન શામળિયા પણ દર્શન આપવા માટે ભક્તો પાસે પહોંચ્યા હતા. શામળાજી મંદિર પરિસરમાં રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. યાત્રાધામ શામળાજી ખાતે ભગવાન શામળિયાને ચાંદીના રથમાં બિરાજમાન કરાયા હતા, જ્યાં શામળિયા ભક્તોને દર્શન આપવા માટે પહોંચ્યા હતા. ભગવાનના બાળ સ્વરૂપ લાલજી ભગવાનને પણ ચાંદીના રથમાં બિરાજમાન કરાવામાં આવ્યા હતા અને રથયાત્રાને મંદિર પરિસરમાં સાત આંટા પૂર્ણ કરીને રથયાત્રાને સંપન્ન કરવામાં આવ્યા હતા. રથયાત્ર સમયે મેઘરાજા પણ મહેરબાન થયા હતા અને શામળિયાની રથયાત્રામાં તેઓ પણ સાક્ષાત હાજરી આપવા આવી પહોંચ્યા હતા.
વરસાદી માહોલ વચ્ચે શામળાજી ખાતે યોજાયેલી રથયાત્રામાં ભાવિ ભક્તો પણ જોડાયા હતા. શ્રદ્ધા અને ઉમંગ સાથે શામળાજી ખાતે હર્ષોલ્લાસ સાથે ભગવાન શામળિયાની રથયાત્રા મંદિર પરિસરમાં યોજાઈ હતી.