અરવલ્લી જિલ્લામાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ ડામાડોળ થઇ હોય તેવું લાગે છે અને તેનો શિકાર જિલ્લાના એક ધારાશાસ્ત્રી બન્યા હતા. 4 દિવસ વિતી જવા છતાં આરોપીઓ નહીં પકડી શકતી મોડાસા ગ્રામ્ય પોલિસ સ્ટેશનની કામગીરી પર સવાલો ઉઠાવી જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલિસ વડાને રજૂઆત કરી હતી. અરવલ્લી જિલ્લા બાર એસોસિએશનના તમામ વકીલો મોડાસા મહાલક્ષ્મી ટાઉન હોલ ખાતે એકત્રિત થયા હતા, જ્યાં વિરોધ દર્શાવ્યો હતો અને બાઈક રેલી સ્વરૂપે જિલ્લા કોર્ટ પહોંચ્યા હતા, જ્યાંથી કલેક્ટર કચેરી પહોંચી આરોપીઓને ઝડપી પાડવા અંગે રજૂઆત કરી હતી.
અરવલ્લી જિલ્લા બાર એસોસિએશને શું કહ્યું સાંભળો
વકીલ પર હુમલો થયાના ચાર દિવસ જેટલો સમય વિતી જવા છતાં હજુ ગ્રામ્ય પોલિસ ઊંધા માથે છે ત્યારે પોલિસની કામગીરી પર પહેલેથી જ વકીલ આલમનો રોષ હતો, આ સમગ્ર મામલે તપાસ અન્ય એજન્સીને સોંપવાની પણ માંગ કરી હતી. અરવલ્લી જિલ્લા બાર એસોસિએશનને મોડાસા ગ્રામ્ય પોલિસ સ્ટેશનના ફોજદાર પર એટલા માટે વિશ્વાસ નથી કે, ફોજદારે આ પહેલા બે વકીલો સાથે ગેરવર્તણૂક અને અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો, જેને લઇને વકીલ આલમ પહેલેથી જ રોષે ભરાયેલ છે અને મોડાસા ગ્રામ્ય પોલિસ સ્ટેશનના ફોજદાર સામે કાર્યવાહી કોર્ટ મારફતે કરી હતી, તો બીજી બાજુ મીડિયા કવરેજ કરતા પત્રકારોને પણ મોડાસા ગ્રામ્ય પોલિસ સ્ટેશનના ફોજદારે ધમકી આપી હતી..
પત્રકારોને ધમકી આપતા મોડાસા ગ્રામ્ય પોલિસ સ્ટેશનના ફોજદાર
અરવલ્લી જિલ્લા બાર એસોસિએશન દ્વારા કરવામાં આવેલા ઠરાવ
- વકીલ પર હુમલાની ઘટનાને પગલે તપાસ LCB, SOG કે SIT ને આપવા માંગ
- એજન્સી માત્ર એક મહિનામાં તપાસ પૂર્ણ કરવા સ્પેશલ કોર્ટ મારફતે કેસની કાર્યવાહી કરવી
- ફરિયાદી પક્ષને સ્પેશલ સરકારી વકીલની નિમણૂક
- ફરિયાદી વકીલ તેમજ તેમના પરિવારને પોલિસ રક્ષણની માંગ
- આરોપીઓના વીકલ તરીકે ન રોકવવા
- સરકાર દ્વારા ભોગ બનનાર વકીલને હોસ્પિટલનો થતો તમામ ખર્ચે આપે
- સરકાર દ્વારા એડવોકેટ પ્રોટેક્શન એક્ટ પસાર કરી વળતર સહિતની માંગ
શું હતો સમગ્ર મામલો તે પણ જાણો
મોડાસા તાલુકાના કુડોલ ગામના વતની અને વ્યવસાયે વકીલાત કરતા જયેન્દ્રભાઈ પ્રજાપતિ રોજિંદીક્રિયા મુજબ મોડાસા આવતા હતા તે સમય દરમિયાન 6 શખ્સો ગાડી લઇને આવ્યા અને તેઓ પર જીવલેણ હુમલો કર્યો હતો. ભાગ બનનાર વકીલ જયેન્દ્રભાઈએ જણાવ્યું કે, તેઓ મોડાસા આવી રહ્યા હતા, તેમણે જણાવ્યું કે, 29 જુનના રોજ સવારે 10 વાગ્યાના અરસામાં તેમના ગામથી નિકળી જંબુસર, દધાલિયા થઇ મોડાસા આવી રહ્યા હતા, તે સમય દરમિયાન મોતીપુરા ગામની સીમમાં એક સફેદ કલરની ઇકો કાર ચાલકે વકીલની કારને રોકી અકસ્માત કરવાનો પ્રયાસ કર્યો હતો. વકીલે અકસ્માતથી બચવા રોડ પરથી કાર નીચે ઉતારી દીધી હતી, તે સમયે ઇકો કારમાંથી 4 ઇસમો ઉતરી વકીલને કહેવા લાગ્યા કે, તમે દારૂનો ધંધો કરો છો, ગાડી ચેક કરવી પડશે. ત્યારબાદ વકીલને ગાડીમાંથી ખેંચી નીચે ઉતારી દીધા હતા, તે સમય દરમિયાન અન્ય પલ્સર ચાલક 2 ઇસમો હાથમાં પાવડા તેમજ અન્ય હથિયારો લઇને આવીને વકીલને માર મારવાનો શરૂ કર્યો હતો, જેને લઇને વકીલને પગના ભાગે ઇજાઓ પહોંચી હતી. ઘટનાને પગલે તાત્કાલિક એમ્બ્યુલન્સ થકી ઇજાગ્રસ્ત વકીલને મોડાસાની સાર્વજનિક હોસ્પિટલમાં દાખલ કરવા માટે લવાયા હતા.
વકીલ પર થઇ રહેવા હુમલા અને ફોજદારો દ્વારા કરવામાં આવતી ગેરવર્ણૂકનો બાર એસોસિએશને સખત વિરોધ દર્શાવ્યો હતો.