મે મહિનામાં ઘઉંની નિકાસ પર પ્રતિબંધ લગાવ્યા બાદ હવે સરકારે ઘઉંના લોટના આઉટબાઉન્ડ શિપમેન્ટ માટે એક નવા મંજૂરી માળખાને અમલી બનાવવાનો નિર્ણય લીધો છે. ઘઉંના લોટના નિકાસકારોએ હવે લોટની શિપમેન્ટ માટે આંતર-મંત્રાલય સમિતિની મંજૂરીની આવશ્યકતા રહેશે. આગામી 12 જુલાઇથી નવા નિયમો અમલી બનશે.
સમિતિની મંજૂરી જરૂર બનશે
ડાયરેક્ટોરેટ જનરલ ઑફ ફોરેન ટ્રેડ દ્વારા જાહેર કરવામાં આવેલા એક નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે, ઘઉંના લોટની નિકાસ માટે છૂટ મળશે પરંતુ તેના માટે આંતર-મંત્રાલય સમિતિની ભલામણ જરૂરી રહેશે. નવા મંજૂરી માળખા હેઠળ નિર્ધારિત કરવામાં આવેલી જોગવાઇઓ ઘઉંનો લોટ, મેદો, સોજી અને અન્ય તરફના લોટની નિકાસ પર લાગૂ થશે.
12 જુલાઇથી નવા દિશા-નિર્દેશો લાગુ થશે
નોટિફિકેશન અનુસાર ઘઉંના લોટોની ગુણવત્તા સંબંધિત દિશા-નિર્દેશો અલગથી જાહેર કરવામાં આવશે. ડીજીએફટી દ્વારા જારી નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે, નવા નિર્દેશો 12 જુલાઇથી લાગૂ થશે અને સાથે જ 6 થી 12 જુલાઇ વચ્ચે માત્ર એ જ કન્સાઇનમેન્ટ્સની નિકાસને મંજૂરી મળશે, જે કા તો શિપ પર લોડ કરવામાં આવી ચૂક્યા હોય અથવા તો કસ્ટમને હેંડઓવર કરવામાં આવ્યા હોય. તે સિવાય આ સમય અવધિ વચ્ચે જે પણ કન્સાઇનમેન્ટ હશે તેને રોકી દેવામાં આવશે.
આપને જણાવી દઇએ કે, ગત કેટલાક દિવસોથી દેશમાંથી લોટની નિકાસમાં તેજીને કારણે સ્થાનિક માર્કેટમાં તેની કિંમતોમાં સતત વધારો થઇ રહ્યો હતો. હવે આ વધતી કિંમતો પર નિયંત્રણ લાદવા અને વપરાશ માટે પૂરતા સ્ટોકને સુનિશ્વિત કરવા માટે સરકાર તરફથી ઘઉંના લોટની નિકાસની શરતોને વધુ સખત કરવાનો નિર્ણય લેવાયો છે. સરકાર દ્વારા આ શરતોને સખત બનાવાયા બાદ અને નવા દિશા નિર્દેશો બાદ હવે નિકાસકારોએ મંજૂરી લેવાની રહેશે. સરકારના આ પગલાંથી કિંમત નિયંત્રણમાં આવે તેવી સંભાવના છે.