અરવલ્લી જિલ્લામાં વારંવાર ઇલેક્ટ્રિસીટ ની સમસ્યાઓ સામે આવતી હોય છે, તેમાંય ખાસ કરીને ચોમાસાના સમયમાં આવી ઘટનાઓનો તો કોઇ સમય જ હોતો નથી. લાઈટ ક્યારે ચાલુ રહે છે તે કહેવું મુશ્કેલ છે, પણ જો લાઈટ બંધનો કોઇ સમય પૂછે તો ચોક્કસ યાદ રહે, કારણ કે, આવું રોજ બને છે. માલપુર પંથકના લીંબોદરા પંથકમાં લાઈટની સમસ્યાથી લોકો ત્રસ્ત થયા અને સબ સ્ટેશનનો ઘેરાવ કર્યો અને કર્મચારીઓને સવાલોના ચક્રવ્યૂયમાં ફસાવી દીધા હતા.
માલપુરના લીંબોદરા સહિત આસપાસના વિસ્તારોમાં લાઈટની સમસ્યાઓ થતી રહે છે, તેમાંય જ્યોતિગ્રામમાં પણ આવી સમસ્યાઓ સર્જાતી રહે તો ગ્રામજનો સવાલ તો પૂછવાના જ છે અને આવી જ સમસ્યાથી ત્રસ્ત થઇ સબ સ્ટેશન પહોંચ્યા હતા. માલપુર પંથકના 11 કે.વી. કૃષ્ણાપુરા જ્યોતિ ગ્રામમાં વારંવાર ટ્રીપિંગ આવતા ગ્રામજનોએ હાલાકીઓનો સામનો કરવો પડ્યો હતો, વીજ સમસ્યા સર્જાતા આસપાસના 5 હજારથી વધુ ગ્રાહકોએ 6 કલાક અંધારામાં રહેવાનો વારો આવ્યો હતો. વારંવાર ટ્રીપિંગની સમસ્યાથી વિદ્યાર્થીઓના અભ્યાસ પર માઠી અસર પડી હતી. આવી સમસ્યાથી ત્રસ્ત થઇ ગ્રામજનો સબ સ્ટેશન પહોંચ્યા તો કર્મચારીઓ પોતાની રટન ચાલુ રાખતા જણાવ્યું કે, જેટકો દ્વારા પૂરતો સામાન આપવામાં આવતો નથી. વારંવાર વીજ સમસ્યાનું નિયમિત નિરાકરણ આવે તેવી ગ્રામજનોએ ઉગ્ર માંગ કરી હતી અને લીંબોદરા ફીડરની સમસ્યાઓ તાત્કાલિક દૂર પણ મીઠી ચીમકી ઉચ્ચારી હતી.
6 કલાક વીજ પ્રવાહ બંધ રહેતા ગ્રામજનોનો હોબાળો