કરણસિંહ પરમાર,જૂનાગઢ
ગતિશીલ ગુજરાતમાં વિકાસની હરણફાળ વચ્ચે વિકાસના કામો અણધડ થતા હોવાની બૂમો છાસવારે ઉઠતી રહે છે જૂનાગઢ જીલ્લાના માંગરોળ તાલુકાના ચંદવાણા ગામ થી દરસોલી સુધીનો રોડ 4 ફૂટ ઉંચો બનાવી પાણીના નિકાલ માટે તંત્રએ આંખ આડા કાન કરી યોગ્ય નિકાલની વ્યવસ્થા કરવામાં ઉણુ ઉતરતા ચંદવાણા ગામના ખેડૂતોની રોડ નજીક આવેલ અંદાજે 100 વીઘા જેટલા ખેતરોમાં પાણી ભરાતા મહામુલી ખેતી નિષ્ફ્ળ જતા ખેડૂતોની હાલત દયનિય બની છે ખેતીવાડી વિભાગ દ્વારા ખેતરમાં ઉભો પાક નિષ્ફ્ળ જતા સર્વે કરી સહાય ચુકવવામાં આવેની માંગ ખેડૂતોમાં પ્રબળ બની છે
માર્ગ અને મકાન વિભાગના તંત્રના પાપે ખેડૂતોએ ખેતરમાં વાવણી કરેલ મગફળી, સોયાબીન અને કેળનો પાક નિષ્ફ્ળ જતા ખેડૂતો દેવાના ડુંગર નીચે દટાતા ખેડૂતોમાં આક્રોશ પ્રવર્તી રહ્યો છે ખેડૂતોએ આ અંગે મામલતદાર અને માર્ગ અને મકાન વિભાગના જવાબદાર અધિકારીઓને લેખિત રજુઆત કરવા છતાં નિરાકરણ નહીં આવતા ખેડૂતો લાચાર સ્થિતિમાં મુકાયા છે
માંગરોળ તાલુકાના ચંદવાણા ગામ થી દરસોલી સુધી માર્ગ અને મકાન વિભાગ દ્વારા નવીન રોડ જમીનના લેવલીંગ કરતા 4 ફૂટ જેટલો ઉંચો બનાવવામાં આવ્યો છે પરંતુ વરસાદી પાણીના નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા ગોઠવવાનું મુનાસીબ ન સમજતા ખેડૂતોના ખેતરોમાં વરસાદી પાણી ભરાતા ખેડૂતોની 100 વીઘા જેટલી જમીન તળાવમાં ફેરવાઈ જતા ખેડૂતોએ મોંઘાદાટ બિયારણ,ખાતર અને જંતુનાશક દવાઓનો છંટકાવ કરી વાવણી કરેલી ખેતીનો સોથ વળી જતા ખેડૂતોએ રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે ખેડૂતોએ પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ગોઠવવામાં આવે અને ખેતી નિષ્ફ્ળ જતા સર્વે કરી ખેડૂતોને સહાય ચુકવવામાં આવેની માંગ કરી હતી