ગુજરાતની મુલાકાતે આવેલા આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આરોગ્યલક્ષી સેવાઓની જાહેરાત કરી છે. તેમણે વધુ 5 ગેરંટી આપી છે, જેમાં આરોગ્યલક્ષી સારી સેવાઓ લોકોને મળે તે માટે વાયદો કર્યો છે. તેમની સાથે આવેલા દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદિયાએ પણ શિક્ષણની વાત કરતા જણાવ્યું કે, શિક્ષણ વ્યવસ્થાને પણ તેઓ બદલશે.
આગામી વિધાનસભાની ચૂંટણીઓને લઇને રાજકીય પક્ષો સતત લોકો સુધી પહોંચવાનો પ્રયાસો કરી રહી છે. દરવર્ષે ભાજપ-કોંગ્રેસ એમ બે જ પક્ષો વચ્ચે જંગ જામતો હતો, પણ આ વર્ષે આમ આદમી પાર્ટી પણ મેદાન છે ત્યારે દિલ્હી મોડેલ પર ગુજરાતમાં નવી વ્યવસ્થાઓના અમલીકરણની જાહેરાતો કરી છે, જેમાં શિક્ષણ વ્યવસ્થા અને આરોગ્યલક્ષી વ્યવસ્થાનો સમાવેશ થાય છે.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આરોગ્યલક્ષી સેવાઓ માટે નવી 5 ગેરંટી આપી છે, જેમાં ગુજરાતીઓને સારી અને નિ:શુલ્ક સેવા માટે તેના પર ભાર આપ્યો હતો. સોમવારે અમદાવાદની મુલાકાતે પહોંચેલા અરવિંદ કેજરીવાલે કરેલી નવી 5 ગેરંટીની જાહેરાત કરી છે.
સ્વાસ્થ્ય ગેરંટી
1 – ગુજરાતના તમામ લોકોને નિ:શુલ્ક અને સારો ઇલાજ
2 – તમામ દવાઓ, ટેસ્ટ, ઓપરેશન સહિતની સારવાર નિ:શુલ્ક થશે (બીપીએલની કાર્ડ જરૂર નહીં)
3 – તમામ ગ્રામ્ય વિસ્તારોમાં ક્લિનિક, શહેરમાં વોર્ડ દીઠ ક્લિનિક (મહોલ્લા ક્લિનિક)
4 – તમામ સરકારી હોસ્પિટલનું નિવિનિકરણ (ખાનગી હોસ્પિટલની સમકક્ષ)
5 – એક્સિડેન્ટમાં ભોગ બનનાર વ્યક્તિની સારવાર નિ:શુલ્ક કરાશે
આ સાથે જ દિલ્હીના શિક્ષણમંત્રી મનિષ સિસોદિયાએ શિક્ષણની વાત કરતા જણાવ્યું કે, ગુજરાતમાં ખાનગી શાળાઓમાં શિક્ષણની તોતિંગ ફી થી ત્રસ્ત છે, જે માટે તેઓ કામ કરશે. સાથે જ સરકારી શાળાઓની સ્થિતિ બદલશે. રાજ્યના એક કરોડથી વધારે બાળકોના ભવિષ્યને બદલવાનો પ્રયાસ કરશે.