રાજ્ય વિધાનસભા યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં આ વખતે મતદારોએ ભારે ઉત્સાહ દાખવ્યો હતો ખાસ કરીને મહિલાઓ,યુવાનો ઉપરાંત વૃધ્ધો પણ મતદાન કરી લોકશાહીમાં ભાગીદાર બન્યા છે અરવલ્લી જિલ્લાની ત્રણ વિધાનસભા બેઠક પર 30 ઉમેદવારોનું ભાવિ ઈવીએમ-વિવિપેટ મશીનોમાં સીલ થયું હતું કેટલાક ગ્રામવિસ્તારોમાં ઈવીએમ-વિવિપેટ મશીનોમાં મતદારોમાં ઉગ્ર રોષ વ્યાપો હતો મહદંશે જિલ્લામાં શાંતિપૂર્ણ મતદાન પૂર્ણ થતા વહીવટી તંત્ર એ રાહતનો શ્વાસ લીધો હતો.જિલ્લાની ત્રણ બેઠકો પર અંદાજે 67.34 ટકા મતદાન નોંધાયું હતું, જેમાં સૌથી વધારે બાયડ બેઠક પર 69.99 ટકા, જ્યારે મોડાસામાં 67.59 અને ભિલોડામાં 65.07 ટકા મતદાન નોંધાયું હતું.
અરવલ્લી જિલ્લાની 30 ભિલોડા-મેઘરજ, 31 મોડાસા-ધનસુરા અને 32 બાયડ-માલપુર ત્રણ વિધાનસભા બેઠકો ઉપર સવારે 8 કલાકે લોકશાહીના ચૂંટણી મહોત્સવ માં મતદાનનો ગુરુવારે સવારે 8 કલાકે પ્રારંભ થયો હતો જિલ્લાની ત્રણ બેઠકો પર ચૂંટણી લડતા 30 ઉમેદવારોનું ભાવિ જિલ્લાના મતદારોએ 1062 ઈવીએમ-વીવીપેટ મશીન દ્વારા મતદાન કરી ભાવિ કેદ કરી દીધું હતું. મોડાસા વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસમાંથી ચૂંટણી લડતા રાજેન્દ્રસિંહ ઠાકોર અને ભાજપના ભીખુસિંહ પરમાર અને આમ આદમી પાર્ટીના રાજેન્દ્રસિંહ પરમાર ભિલોડા વિધાનસભા બેઠક પર કોંગ્રેસના રાજેન્દ્ર પારઘી ,ભાજપના પી.સી.બરંડા આમ આદમી પાર્ટીના રૂપસિંહ ભગોરા, બાયડ વિધાનસભા બેઠક પર ભાજપના ભીખીબેન પરમાર,અને કોંગ્રેસના મહેન્દ્રસિંહ વાઘેલા, અપક્ષ ઉમેદવાર ધવલસિંહ ઝાલા, આમ આદમી પાર્ટીના ચુનીભાઈ પટેલ, અપક્ષ હસમુખ સક્સેના તેમજ અન્ય પાર્ટીના અને અપક્ષ ઉમેદવારોએ મતાધિકારનો ઉપયોગ કરીને મતદાન કર્યું હતું.
અરવલ્લી જિલ્લામાં ત્રણે બેઠકો પર મતદાનના પ્રારંભના 3 કલાક સુધી મોટાભાગના બુથો ઉપર મતદારોનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો કેટલાક બુથો પર મહિલા મતદારોની લાંબી કતારો લાગી હતી તેમજ કેટલાક મતદાન બેઠકો પર મતદાન પ્રક્રિયા ધીમી પડતા મતદાન કરવા આવેલા મતદારોને ખાસ્સો સમય કતારમાં ઉભું રહેવું પડતા મતદારોમાં છુપા રોષનો ગણગણાટ સાંભળવાની સાથે મોડાસાની ગુજરાતી શાળા નંબર-2 માં બુથ-1 પર મતદાન ધીમું પડતા મતદારોએ મતદાન પ્રક્રિયા ઝડપી બનાવવા માંગ કરી હતી
જિલ્લાની ત્રણેય બેઠકો પર બપોરના 1 થી 2 કલાક દરમિયાન મતદાન ધીમુપડ્યું હોવાના સંકેતો મળ્યા હતા પરંતુ છેલ્લા બે થી અઢી કલાક દરમિયાન મતદારોની કતારો લાગી હતી લોકોમાં સ્વયં મતદાર જાગૃતિનો સંચાર થયૉ હોવાનું ચિત્ર જોવા મળ્યું હતું મતદાનને અંતે જિલ્લામાં સરેરાશ અંદાજે 67.34 ટકા મતદાન થયાનું જિલ્લા ચૂંટણી તંત્રના સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું. ત્યારે કોણ કોને માત આપશે તે તો 8 ડિસેમ્બર પરિણામના દિવસે ચૂંટણી લડતા ઉમેદવારોનું રાજકીય ભાવિ નક્કી થશે