હાલ ચાલતા પ્રોજેક્ટની કોસ્ટમાં ધરખમ વધારો અને પ્રજાને ભાવ બોજો પડશે – કમલેશ પટેલ (પ્રમુખ,ક્રેડાઈ અરવલ્લી)
મધ્યમવર્ગીય પરિવારો માટે ઘરનું ઘર લેવું મુશ્કેલ બને તો નવાઈ નહીં..??
રાજ્ય સરકાર દ્વારા જંત્રીના દરોમાં 100 ટકાનો એટલે કે બમણો ભાવવધારો ઝીંકાયો છે.છેલ્લે 2011માં જંત્રીના દર અમલમાં આવ્યા હતા. ત્યારે આશરે 11 વર્ષ બાદ જંત્રીના ભાવમાં વધારો કરાયો છે.સોમવારથી રાજ્યમાં જંત્રીના નવા દરોની અમલવારી શરૂ થતા બિલ્ડર્સ એસોસિએશનમાં ભારે નારાજગી જોવા મળી રહી છે રવિવારે બિલ્ડર્સ એસોસિએશ દ્વારા ઝૂમ એપ્લિકેશન પર ઓનલાઈન મીટિંગ યોજાઈ હતી જેમાં બિલ્ડર્સ એસોસિએશન સરકારે અચાનક જંત્રી બમણી કરવાના નિર્ણય સામે વિરોધ નોંધાવ્યો હતો અને તબક્કાવાર જંત્રી વધારવા માટે મુખ્યમંત્રીને રજુઆત કરવામાં આવશેની માહિતી પ્રાપ્ત થઇ હતી
અરવલ્લી ક્રેડાઈ પ્રમુખ કમલેશ પટેલ અને અન્ય બિલ્ડર્સ ગુજરાત બિલ્ડર્સ એસોશિએશનની વર્ચ્યુલ મીટિંગમાં જોડાયા હતા અને સરકાર દ્વારા સોમવારથી જંત્રી ડબલ કરવાના નિર્ણયને અયોગ્ય ગણાવી તબક્કાવાર કે પછી 1 મે 2023 થી સરકાર દ્વારા બમણી જંત્રીની અમલવારી કરવામાં આવેની માંગ કરી હતી
કમલેશ પટેલે Mera Gujarat ના પ્રતિનિધી સાથે વાત કરતા જણાવ્યું હતું કે અમે એવું નથી કહેતા કે બમણો ભાવ વધારો વ્યાજબી નથી પરંતુ કોરોના બાદ રીયલ એસ્ટેટ માર્કેટ માંડ માંડ ઊભું થઈ રહ્યું છે. જંત્રીના દર વધતા લોકો માટે ઘરનું ઘર ખરીદવું મુશ્કેલ બની જશે કેમ કે સ્ટેમ્પ ડ્યુટી સાથે દસ્તાવેજ ખર્ચ ડબલ થઈ શકે છે. ઘણી ટીપી સ્કીમમાં મકાનની કિંમત બમણી થશે અને વિસંગતતા ઊભી થશે. ગુજરાતનો ગ્રોથ થાય છે તેનું માળખું તૂટી જશે. જંત્રી ડબલ કરી છે તેની સામે વાંધો નથી પણ તેના અમલીકરણ કરવામાં સરકાર થોડી મુદત આપે તેવી અમારી વિનંતી છે. જેથી પ્લાન પાસ કરવા, દસ્તાવેજનાં કામ વગેરે લગતા વ્યવહાર પૂરા થયા હોય તેમાં એન્ડ યુઝર અને ડેવલોપર વચ્ચે માથાકૂટ થવાની શક્યતા છે જંત્રી વધારવી જરૂરી તો હતી જ પરંતુ અમલીકરણ માટે થોડો સમય આપે તેવી વિનંતી છે. પ્રજાને નુકસાન નહીં થાય પરંતુ જે ડીલ ચાલે છે અને વ્યવહાર પૂરા થયા છે કે થવાના છે તેમાં હવે તકલીફ ઊભી થશે કેમ કે પ્રોજેક્ટ કોસ્ટ વધી જશે અને ભાવ વધારવા પડશે તેમજ આ બોજ પ્રજાને પડશે.