ગુજરાત રાજ્યની લોકશાહીના મંદિર સમાન વિધાનસભા ગૃહ ખાતે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજી એ ધારાસભ્યઓને ઉર્જાસભર સંબોધન કર્યું હતું. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ બે દિવસના ગુજરાત પ્રવાસે આવ્યા છે ત્યારે પ્રથમ દિવસે તેમણે ગુજરાત વિધાનસભામાં ધારાસભ્યોને સંબોધન કર્યું હતું.
ધારાસભ્યોને સંબોધન કરતા વિધાનસભાના અધ્યક્ષા ડો. નિમાબેન આચાર્યએ પોતાના સંબોધનમાં મહિલાઓનો માન સન્માન કરતા જણાવ્યું કે, વિધાનસભામાં ઉપસ્થિત 13 મહિલા ધારાસભ્યો કે, જેમણે પોતાના ક્ષેત્રોમમાં કુશળ પ્રતિનિધિત્વ કરી રહી છે. તેમણે સંબોધન કરતા જણાવ્યું કે, ઇતિહાસમાં પ્રથમવાર છે કે, ગુજરાત વિધાનસભામાં પ્રથમવાર દેશના રાષ્ટ્રપતિ સંબોધન કરી રહ્યા છે.
રાષ્ટ્રપતિ એવા સમયે ગુજરાત વિધાનસભાના સભ્યોને સંબોધિત કર્યા જ્યારે ભારત આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યું છે. આ વાતને ટાંકીને રાષ્ટ્રપતિએ કહ્યું કે આઝાદી અને તેના અમૃત મહોત્સવની ઉજવણી કરવા માટે ગુજરાત કરતાં વધુ સારી જગ્યા કોઈ નથી. ગુજરાતના લોકો સ્વતંત્ર ભારતની કલ્પના કરવામાં અગ્રેસર હતા. 19મી સદીના છેલ્લા દાયકાઓમાં દાદાભાઈ નવરોજી અને ફિરોઝ શાહ મહેતા જેવી હસ્તીઓએ ભારતીયોના અધિકારો માટે અવાજ ઉઠાવ્યો હતો. સ્વતંત્રતાના આ સંઘર્ષને ગુજરાતના લોકોનો સતત સહકાર મળ્યો હતો અને આખરે મહાત્મા ગાંધીના માર્ગદર્શન હેઠળ તે ભારતની આઝાદીમાં પરિણમ્યો.
રાષ્ટ્રપતિએ સંબોધન કરતા કહ્યું કે મહાત્મા ગાંધીએ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામને માત્ર નેતૃત્વ પૂરું પાડ્યું ન હતું, પરંતુ સમગ્ર વિશ્વને એક નવો રસ્તો, નવી વિચારસરણી અને નવી ફિલસૂફી પણ બતાવી હતી. આજે જ્યારે પણ દુનિયામાં કોઈપણ પ્રકારની હિંસા થાય છે ત્યારે બાપુના સૂત્ર ‘અહિંસા’નું મહત્વ આપણને સમજાય છે.
રાષ્ટ્રપતિએ કહ્યું કે, ગુજરાતનો ઇતિહાસ અનોખો છે. મહાત્મા ગાંધી અને સરદાર પટેલની આ ભૂમિને સત્યાગ્રહની ભૂમિ કહી શકાય. સત્યાગ્રહનો મંત્ર સમગ્ર વિશ્વમાં સંસ્થાનવાદ સામે એક અમોઘ શસ્ત્ર તરીકે સ્થાપિત થયો હતો. બારડોલી સત્યાગ્રહ, મીઠાનો સત્યાગ્રહ અને દાંડી કૂચે આપણા સ્વાતંત્ર્ય સંગ્રામને ન માત્ર નવો આકાર આપ્યો, પરંતુ વિરોધની અભિવ્યક્તિ અને જન આંદોલનના આચરણને પણ એક નવું પરિમાણ આપ્યું.
રાષ્ટ્રપતિએ કહ્યું કે સરદાર પટેલે સ્વતંત્ર ભારતને તેનું એકીકૃત સ્વરૂપ આપ્યું અને વહીવટનો પાયો મજબૂત કર્યો. નર્મદા કિનારે તેમની પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’, જે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે, તે તેમની સ્મૃતિમાં કૃતજ્ઞ રાષ્ટ્ર તરફથી માત્ર એક નાનકડી ભેટ છે. ભારતના લોકોના હૃદયમાં તેમનું કદ તેનાથી પણ વધારે ઊંચું છે.
રાષ્ટ્રપતિએ કહ્યું કે, ગુજરાતે રાજકારણ ઉપરાંત સાંસ્કૃતિક, સામાજિક અને આર્થિક ક્ષેત્રે પણ મહત્વની ભૂમિકા ભજવી છે. નરસિંહ મહેતાની આ ભૂમિ પર આધ્યાત્મિકતાનો ઘણો પ્રભાવ રહ્યો છે. તેમનું ભજન “વૈષ્ણવ જન તો તને કહીયે, જે પીડ પરાય જાણે રે” આપણા સ્વાતંત્ર્ય સંગ્રામનું ગીત બની ગયું. તેણે ભારતીય સંસ્કૃતિના માનવતાવાદનો પણ પ્રસાર કર્યો હતો. રાષ્ટ્રપતિએ કહ્યું કે, ગુજરાતની પ્રજાની ઉદારતા એ ભારતીય સંસ્કૃતિનું મુખ્ય લક્ષણ છે. પ્રાચીનકાળથી આ પ્રદેશમાં તમામ સંપ્રદાયો અને સમુદાયોના લોકો ભાઈચારાથી આગળ વધતા રહ્યા છે.
રાષ્ટ્રપતિએ કહ્યું કે આપણે આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યા છીએ ત્યારે આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓને યાદ કરીને દેશના ઉજ્જવળ ભવિષ્ય માટે પગલાં ભરવાની આપણી ફરજ છે, જેથી વર્ષ 2047માં જ્યારે ભારત તેની શતાબ્દીની ઉજવણી કરી રહ્યું હોય, ત્યારે તે સમયની પેઢી તેમના દેશ પર ગર્વ અનુભવશે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ભારત સરકાર, રાજ્ય સરકારો અને દેશના નાગરિકો ભારતના શતાબ્દી વર્ષને સુવર્ણયુગ બનાવવાના ઉદ્દેશ્ય સાથે વિકાસના પંથે આગળ વધવાનું ચાલુ રાખશે. પોતાનું સંબોધન પૂર્ણ કર્યા પછી રાષ્ટ્રપતિ સત્તાપક્ષના તેમજ વિરોધપક્ષના સભ્યોને મળ્યા હતા અને તેમનું અભિવાદન ઝીલ્યું હતું.