અરવલ્લી-સાબરકાંઠા જીલ્લામાં દર વર્ષે ખેતરોમાંથી પસાર થતા ઝોલા ખાતા હેવી વીજતારથી ખેતરમાં તૈયાર ઊભા ઘઉંનો પાક બળીને ખાખ થઇ જવાની અનેક ઘટનાઓ બનતી રહે છે. ઘઉંની સીઝનમાં જ વીજતાર એકબીજા સાથે અથડાવાથી તણખા ઝરતા થોડીક જ મિનિટોમાં ઘઉંનો પાક બળીને ખાખ થઈ જતો હોય છે. મેઘરજ તાલુકાના વાવકંપા ગામે બે ખેડૂતોના 12 વીઘામાં ઉભા ઘઉંના પાકમાં ખેતરમાંથી પસાર થતા વીજતારમાં શોર્ટ સર્કિટ થતા આગ લાગતાં ઘઉંનો પાક સ્વાહા થતા ખેડૂત રડમશ બની ઉઠ્યો હતો. ખેડૂતોના હાથમાં આવેલ કોળિયો છીનવતા ખેડૂત પરિવારોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. વીજતંત્ર ખેડૂતોને સહાય ચુકવે તેવી માંગ પ્રબળ બની છે.
મેઘરજ તાલુકાના વાવકંપા ગામમાં રહેતા ખેડૂત હિતેષભાઇ વિઠ્ઠલભાઈ પટેલ અને અશ્વિનભાઈ અરવિંદભાઈ પટેલના ઘઉંથી છલોછલ ભરેલ ખેતર આગમાં ખાખ થતા લાખ્ખો રૂપિયાની નુકસાનની ભોગવવાનો વારો આવતા ખેડૂતોની હાલત દયનિય બની છે. વાવકંપા ગામની સીમમાં આવેલ ખેતરમાંથી પસાર થતા વીજતારમાં અગમ્ય કારણોસર શોર્ટ સર્કિટ થતા અને તણખા ઝરતા ખેતરમાં તૈયાર ઉભા ઘઉંના પાકમાં આગ લાગતાં અને ઝડપથી પ્રસરતા આજુબાજુમાં રહેલા અન્ય ખેતરોમાં ઉભા ઘઉંમાં આગ લાગતાં ખેડૂતો અને ગામલોકો દોડી આવી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવા પ્રયત્નો હાથધર્યા હતા પરંતુ આગ પવનની ગતિ વધુ હોવાથી આગે ખેતરોમાં રહેલા ઘઉંના પાકને ઝપેટમાં લેતા બળીને ખાખ થતા ૪૦૦ મણ થી વધુ તૈયાર થયેલા ઘઉંનો પાક આગ થી રાખ માં ફેરવાતા ખેડૂતોએ સ્વજન ગુમાવ્યો હોય તેમ આઘાતમાં સરી પડ્યા હતા મહા મહેનતે પકવેલા ઘઉં બળી જતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો હતો.