દેશના બેંક કર્મચારીઓની આજથી બે દિવસની હડતાળ શરૂ થશે, જેમાં રાજ્યના અંદાજે હજાર જેટલા બેંક કર્મચારીઓ જોડાશે, જેને લઇને કરોડો રૂપિયાના વ્યવહાર ખોરવાશે. બેંકના ખાનગીકરણના વિરોધમાં બે દિવસની હડતાળ પર કર્મચારીઓ ઉતર્યા છે, ત્યારે ખાતાધારકોએ બેંક કર્મચારીઓની હડતાળના પગલે અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે એમ છે. રાજ્યના 3665 રાષ્ટ્રીયકૃત બેંક શાખાના અંદાજે 40 હજાર જેટલા કર્મચારીઓ આ હડતાળમાં જોડાનારા હોવાથી સીધી અસર વર્તાશે. આ સાથે જ શનિવાર અને રવિવારની રજા હોવાને લઇને સોમવારના દિવસે મોટાભાગના એટીએમ પણ ખાલી થઇ જશે, જેથી અનેક લોકોને નાણાંકિયા લેવડ-દેડવા માટે હાલાકીઓનો સામનો કરવો પડી શકે એમ છે. રાષ્ટ્રવ્યાપી હડતાળને પગલે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં પણ બેંક સેવાઓ બંધ રહેશે.
ઉત્તર ગુજરાત સહીત અરવલ્લી જિલ્લામાં સોમવાર રાષ્ટ્રીયકૃત બેંકોના કર્મચારીઓ હડતાલમાં જોડાતા અંદાજે 900 કરોડ રૂપિયા થી વધુના બેંક વ્યવહારને સીધી અસર થવાની શક્યતાઓ છે. તો અરવલ્લી જિલ્લાના બેંક કર્મચારીઓ પણ આ હડતાળમાં જોડાશે. અરવલ્લી-સાબરકાંઠા જિલ્લાની 150 જેટલી રાષ્ટ્રીયકૃત બેંકો બંધ રહેતા અંદાજિત 150 કરોડ રૂપિયા નું ક્લિયરન્સ અટકી પડવાની શક્યતાઓ છે, જેને લઇને ધંધા-રોજગાર ને માઠી અસર પહોંચી શકે છે.
શનિવાર અને રવિવારની રજા હોવાથી બેંકના એટીએમ પહેલેથી જ ખાલી થયા હતા ત્યારે સોમવાર અને મંગળવાર બે દિવસની હડતાળને પગલે એટીએમમાં નાણા ક્યારે મુકાશે તે પણ એક સવાલ છે. અનેક લોકોને નાણા ક્યાંથી મળશે તે પણ સવાલો છે. બેંક કર્મચારીઓ ભલે હડતાળ પર ઉતર્યા હોય પણ એટીએમ સેવાઓ ચાલુ રહે તે પણ જરૂરી છે, જેથી ઇમરજન્સીમાં લોકોને નાણાકિયા સુવિધાઓ મળી રહે.