IPL 2022ના મુકાબલા 26 માર્ચથી શરૂ થઇ ગયા છે. ટી-20 લીગમાં કુલ 10 ટીમ ઉતરી રહી છે. ફાઇનલ મુકાબલો 29 મેએ રમાશે. 2018 બાદથી ટી-20 લીગમાં ઓપનિંગ અને ક્લોજિંગ સેરેમની યોજાઇ શકી નથી. આ વર્ષે બોર્ડે ક્લોજિંગ સેરેમની આયોજિત કરવાનો નિર્ણય કર્યો છે. બોર્ડે અરજી પણ મંગાવી છે. કોરોનાને કારણે વર્તમાન સીઝનમાં ઓપનિંગ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યુ નહતુ. આ વખતે ગુજરાત ટાઇટન્સ અને લખનઉં સુપર જાયન્ટના રૂપમાં 2 નવી ટીમ ઉતરી રહી છે. આ વખતે કુલ 60ની જગ્યાએ 74 મેચ રમાશે.
બોર્ડ સચિવ જય શાહ તરફથી જાહેરાતમાં કહેવામાં આવ્યુ કે ક્લોજિંગ સેરેમની સબંધિત ડૉક્યૂમેન્ટ 25 એપ્રિલ સુધી ખરીદી શકાશે, તેની માટે એક લાખ રૂપિયા કિંમત રાખવામાં આવી છે. અરજીમાં સામેલ થનારી પાર્ટી બીસીસીઆઇને ઇ-મેલ દ્વારા આ મામલે સૂચના આપી શકે છે. જોકે, અત્યાર સુધી આઇપીએલની ફાઇનલ મેચનું સ્થળ નક્કી કરવામાં આવ્યુ નથી પરંતુ તેને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાવાની શક્યતા છે.
પુલવામા હુમલાને કારણે રદ થયો હતો કાર્યક્રમ
2019માં પ્રથમ વખત આઇપીએલની ઓપનિંગ સેરેમનીનો કાર્યક્રમ આયોજિત થયો નહતો. પુલવામામાં થયેલા આતંકી હુમલાને કારણે આવુ કરવામાં આવ્યુ હતુ. બોર્ડે આ પૈસાને શહીદ થયેલા જવાનના પરિવારને આપવાનો નિર્ણય કર્યો હતો. 2020 અને 2021માં કોરોનાને કારણે મુકાબલા ફેન્સ વગર રમાયા હતા. વર્તમાન સીઝનની વાત કરીએ તો 4 સ્થળો પર લીગ રાઉન્ડ મેચ રમાઇ રહી છે પરંતુ ફેન્સને મેચ જોવાની પરવાનગી આપવામાં આવી છે.