ચૈતન્ય મહર્ષી, મેરા ગુજરાત
અમરેલી જીલ્લો રાજકિય રીતે સમૃધ્ધ રહ્યો છે. ગુજરાતના પ્રથમ મુખ્ય પ્રધાન ડો. જીવરાજ મહેતાથી લઈ મોટા ગજાના અનેક નેતાઓ અમરેલી જીલ્લાએ ગુજરાતને આપ્યા. અનેક મંત્રીઓ, પ્રધાનોએ ખુબ લોકઉપયોગી કામ કર્યુ. તો કેટલાક નેતાઓ સંપુર્ણ નિષ્ફળ ગયા. આજે વાત કરવાની છે અમરેલી જીલ્લાના સાવરકુંડલા બેઠકની.
સાવરકુંડલા બેઠક પર ભાજપનો દબદબો રહ્યો છે. કાળુભાઈ વિરાણી સતત ત્રણ ટર્મ સુધી ચૂંટાયા, ત્યાર બાદ વલ્લભ વઘાશિયા ભાજપ તરફથી ચૂંટણી લડ્યા અને જીતી અને કૃષી પ્રધાન બન્યા. પરંતુ 2017માં હાર્દીક પટેલના પાટીદાર આંદોલનના પગલે આ બેઠક ભાજપ સાચવી ના શક્યુ અને યુવા આક્રમક નેતા પ્રતાપ દુધાતે ભાજપના કમલેશ કાનાણીને મોટા માર્જીનથી હરાવી દીધા.
આ વખતે ભાજપ કોઈ પણ સંજોગોમાં આ બેઠક પુન કોંગ્રેસ પાસેથી આંચકી લેવા માંગે છે. ભાજપને આ આશાવાદ એટલે છે કે સ્થાનીક ચૂંટણીના પરિણામોમાં ભાજપ લગભગ તમામ સ્તરે ભવ્ય વિજય મેળવ્યો, કોંગ્રેસ પાસેથી નગરપાલિકા ખુંચવી લીધી, તાલુકા પંચાયત પણ ભાજપે કોંગ્રેસ પાસેથી છીનવી લીધી. તમામ જીલ્લા પંચાયતોની બેઠકો મોટા માર્જીનથી જીતી લેતા ભાજપને આશાવાદ જાગ્યો છે કે આ વખતે તેઓ સીટીંગ એમએલએ પ્રતાપ દુધાતને હરાવી શકશે.
સાવરકુંડલા વિધાનસભામાં સાવરકુંડલા શહેર ઉપરાંત લીલીયા શહેર અને તાલુકાનો પણ સમાવેશ થાય છે. આ વિસ્તાર ખારાપાટનો વિસ્તાર ગણવામાં આવે છે. આ ઉપરાંત વિજપડી, વંડા જેવા પ્રમાણમાં મોટા ગામનો પણ સમાવેશ થાય છે.
હવે કોંગ્રેસ ભાજપના આ વખતના કેટલાક સંભવિત ઉમેદવારો પર નજર દોડાવીએ તો કોંગ્રેસમાં લગભગ એટલેકે સો ટકા ચાલુ ધારાસભ્ય પ્રતાપ દુધાતને રીપીટ કરે તેવી સંભાવના છે. તેના કેટલાક કારણો છે. પ્રતાપ દુધાતની વિધાનસભામાં કામગીરી. પ્રતાપ દુધાત કોંગ્રેસના કેટલાક આક્રમક યુવા નેતામાં સમાવેશ થાય છે. ઉપરાંત દિલ્હીમાં રાહુલ ગાંધીની નજદીકી પણ પ્રતાપ દુધાતની ફેવરમાં જાય છે. તો ભાજપ આ વખતે જો નો રિપીટ થિયરી અજમાવે તો ભાજપના ઉપાધ્યક્ષ સુરેશ પાનસુરિયા સૌથી હોટ ફેવરીટ ગણવામાં આવે છે. પરંતુ સુરેશ પાનસુરિયાને સીધી ફાઈટ રહેશે માર્કેટીંગ યાર્ડના ચેરમેન દિપક માલાણી સાથે. આ ઉપરાંત પુર્વ કૃષી પ્રધાન વલ્લભ વધાશિયા પણ પ્રબળ દાવેદાર માનવામાં આવે છે. તો ગત ચૂંટણીમાં હાર સહન કરનાર કમલેશ કાનાણી, પ્રતિક નાકરાણી, પુના ગજેરા વગેરે પણ ભાજપના દાવેદાર ગણવામાં આવે છે.આ ઉપરાંત પુર્વ ધારાસભ્ય કાળુ વિરાણી પણ ભાજપની ટોચની નેતાગીરી સાથે ટિકીટ માટે સંપર્કમાં હોવાનુ જાણવા મળ્યુ છે. પરંતુ જો ભાજપ કોઈ પણ સંજોગોમાં આ બેઠક જીતવા જ માંગતુ હોય અને પ્રતાપને સીધી ટક્કર આપે તેવુ એક છુપુ નામ જો હાઈકમાન્ડ વિચારે તો લીલીયા તાલુકાના પુર્વ ધારાસભ્ય અને સુરતસ્થીત ઉદ્યોગપતી હનુભાઈ ધોરાજીયાનુ નામ આવી શકે. અમરેલી જીલ્લામાં સૌથી વધુ મતથી જીતનાર હનુભાઈ ધોરાજીયાને સમગ્ર જીલ્લામાં ભામાશા તરીકે ઓળખવામાં આવે છે. હનુભાઈ ધોરાજીયાને ભાજપ સરપ્રાઈઝ ફેકટર તરીકે ઉતારે તેવી માહિતી અંગતસુત્રો દ્વારા મળી રહી છે. કારણ કે પ્રતાપ દુધાતની ખરી તાકાત લીલીયા તાલુકાના ગ્રામ્ય વિસ્તાર અને લીલીયા શહેર છે, જો ભાજપ હુનભાઈ ધોરાજીયાને મેદાનમાં ઉતારે તો પ્રતાપ દુધાતને જે વિનીંગ લીડ લીલીયા તાલુકામાંથી મળતી હતી તેના પર બ્રેક લાગી જાય. આ ઉપરાંત હનુભાઈ ધોરાજીયાની સાફ છબી, દાનવીર તરીકેની ઓળખ પણ એનુ જમાપાસુ ગણી શકાય.