અરવલ્લી જિલ્લા પંચાયતની આરોગ્ય શાખામાં કેટલાય સમયથી બે ભાગમાં ફંટાઇ ગયેલા આરોગ્ય વિભાગમાં આખરે દરોડા પડતાં વાતાવરણમાં ગરમાવો આવી ગયો છે. 27 એપ્રિલના રોજ બપોરના અરસામાં જિલ્લા આરોગ્ય કચેરીમાં ગાંધીનગરથી રિઝનલ ડેપ્યુટી ડાયરેક્ટરના દરોડા પડતા આરોગ્ય તંત્ર કોમામાં સરી પડ્યું હતું. કથિત રીતે જિલ્લા આરોગ્ય અધિકારી સામે ભ્રષ્ટાચારના આક્ષેપને લઇને દરોડા પડ્યા હોવાની સુત્રો તરફથી માહિતી મળી છે.
પ્રાપ્ત માહિતી મુજબ અરવલ્લી જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા રાબેતા મુજબ કાર્યરત હતી, ત્યારે બપોરના સમયે અચાનક ગાંધીનગરથી 6 અધિકારીઓની ઓચિંતી તપાસ આવતા આરોગ્ય તંત્ર સોપામાં સરી પડ્યું. જિલ્લા આરોગ્ય અધિકારી ડો.આર.જી શ્રીમાળી સામે ભ્રષ્ટાચારના આક્ષેપોને લઇને આ તપાસ આવી હોવાનું આધારભૂત સુત્રો તરફથી માહિતી મળી, પણ હવે દરોડા છે તો તપાસ થવાની. હવે સવાલ એ છે કે, તપાસને રેલો કેટલા અધિકારીઓ પર આવશે તે જોવું રહ્યું.
જો આરોગ્ય કચેરીમાં સાચે જ તપાસ હોય તો અરવલ્લી જિલ્લાની બીજી કેટલીય કચેરીઓ છે જ્યાં પોલમપોલ ચાલે છે અને બિચારા અરજદારો અને જિલ્લાની જનતા પીસાય છે. ઊંચા પગાર હોવા છતાં થોડા પૈસા માટે બિચારી જનતા પીસાઈ રહી હોવાની બૂમો ઉઠી રહી છે. જિલ્લો નવો છે અને અધિકારીઓને મોજે મોજ પડી ગઇ છે કે શું તે સવાલ છે.