મહેન્દ્ર બગડા
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી ડિસેમ્બર સુધીમાં યોજાઈ જશે. પાંચ વર્ષે વિધાનસભાની ચૂંટણી આવે તે નિયમ પ્રમાણે હવે ચૂંટણીને બહુ સમય નથી. વહેલા ચૂંટણીના ભણકારા વચ્ચે લાગે છે કે ચૂંટણી નિયત સમયે જ થશે. સામાન્યજન, વાચકો, ટીવીના દર્શકો, વેપારીઓ વગેરે માટે ચૂંટણીને હજુ ખુબ વાર છે. લોકો પણ ચર્ચા કરતા રહે છે કે ચૂંટણીને તો હજુ ધણી વાર છે, પરંતુ રાજકીયપક્ષ, ચૂંટણી પંચ, કલેક્ટર કચેરી, રાજકિય કાર્યકરો વગેરે માટે ચૂંટણી સાવ નજીક છે. ચૂંટણી પંચ અને કલેક્ટર કચેરીને અત્યારથી જ મહેનત કરવી પડે કારણ કે તેમણે ચૂંટણીનુ આયોજન કરવાનુ છે. જ્યારે રાજકીયપક્ષ અને નેતાઓ, કાર્યકરોને ચૂંટણી લડવાની હોય છે. એટલે તેમના માટે ચૂંટણી જાણે કે ડેલીએ આવીને ઉભી છે. સ્વાભાવીક છે કે ચૂંટણીમાં જીત માટે જ્યારે પક્ષો ચૂંટણી લડતા હોય એટલે ઉમેદવારની પસંદગી, સસ્ક્રીનીંગ વગેરેની પ્રક્રિયા પણ અત્યારથીજ શરુ કરી દેવામાં આવતી હોય છે. દરેક રાજકીયપક્ષ પોતાની સર્વે એજન્સી દ્વારા સર્વે કરાવતી હોય છે. લોકોનો મુડ શું છે, ક્યા મુદ્દા પર લોકોનો રોષ છે, ક્યા મુદ્દા પર સરકારથી ખુશ છે તે તમામ બાબતોની નોંધ સંગઠનના લોકો લેતા હોય છે.
સત્તાધારી પક્ષ સ્વાભાવીક રીતે જ કોંગ્રેસ કરતા આ તમામ બાબતોમાં ખુબ આગળ છે. ભાજપના લગભગ બેથી વધુ આંતરીક સર્વે તો પુર્ણ પણ થઈ ગયા છે. કોંગ્રેસનો એક સર્વે હાલ ચાલતો હોવાની માહિતી મળી છે. આ સર્વે એ ભગવાન અને ભુત જેવુ છે. સૌ કોઈ તેના વિશે વાત કરે પરંતુ તેને કોઈ ક્યારેય જોતા નથી. એટલે આ બધી બાબતો અનુમાન અને વ્યક્તીગત સુત્રો દ્વારા માહિતી મળી રહે છે.
હવે વાત છે સત્તાધારી પક્ષ ભાજપની. સૌથી વધુ ચાન્સ જીતના હોવાથી ખુબ મોટી સંખ્યામાં ઉમેદવારો ચૂંટણી લડવા થનગની રહ્યાં છે. દરેક કાર્યકરને એવુ લાગે છે કે પોતાનાથી યોગ્ય ઉમેદવાર બીજો કોઈ છે જ નહી. પરંતુ આ વાત માત્ર કાર્યકર અને તેમના નજીકના સગા સંબંધીઓ જ માને છે, પક્ષના સર્વોચ્ચ નેતાઓ અને પાર્લામેન્ટરી બોર્ડમાં જે લોકો ટિકીટ ફાળવણીનો નિર્ણય લે છે તેઓ આવુ માનતા નથી. અફસોસ, બીચારા કાર્યકર માટે.ભાજપ હાઈકમાન્ડે જે રીતે વિજય રુપાણી સરકારને કોઈ પણ સીધા દેખીતા કારણ વગર બરખાસ્ત કરી દીધી અને તમામ મોટા અને વર્ષોથી પ્રધાન રહેલા નેતાઓ, મંત્રીઓને એક ઝાટકે ભાજપે ધરભેગા કરી નવી ટીમ નિયુક્ત કરી તે જ પેટર્ન પ્રમાણે જો વિધાનસભાની ચૂંટણીમાં પણ સાવ નવા જ ઉમેદવારોને ટિકીટ આપે તો..? તો ભારે થાય, ખાસ કરીને જે લોકો ત્રીસ ત્રીસ વર્ષથી પ્રધાન અથવા તો ધારાસભ્ય છે તેઓ શું કરશે, તેવો સીધો અને સીમ્પલ સવાલ થાય. નિતીન પટેલ , સૌરભ દલાલ, પ્રદિપ સિંહ વાધેલા, આર.સી. ફળદુ વગેરે જેવા સિનિયરની ટીકિટ કપાઈ શકે, જવાબ ભાજપના કાર્યકરો આપી રહ્યાં છે કે હા, મોદી હૈ તો મુમકીન હૈ. કંઈ પણ થઈ શકે. કોઈની પણ ટિકીટ કપાઈ શકે, કોઈને પણ ધરભેગા કરી દેવામાં આવે. આ સ્થીતીમાં આ નેતાઓ શું કરશે.?? બગાવત જેવો શબ્દ ભાજપમાં સાંખી લેવામાં આવતો નથી એટલે એ સંભાવના ઓછી છે. શું આ્ર તમામ લોકો માર્દર્શક મંડળમાં વટભેર સ્થાન પામશે? માર્ગદર્શક મંડળમાં હાલ અડવાણીજી, મુરલી મનોહર જોષી વગેરે દિગ્ગજ નેતાઓ છે એટલે વટભર એમ લખ્યુ છે, કોઈએ બીજો આડાઅવળો અર્થ ના કાઢવો.બીજી વાત, જે લોકો કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા છે તેમની ટિકીટ જો કપાઈ તો શું થાય? આવો નિર્દોષ સવાલ રાજનીતીમાં નવા નવા આવેલ કાર્યકર પુછી રહ્યાં છે. ગુજરાત સમાચાર જેવા પ્રસિધ્ધ દૈનિકમાં તારીખ 25 એપ્રિલમાં કેટલાક કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા ધારાસભ્યોની ટિકીટ કપાઈ શકે તેવી અટકળ છાપવામાં આવી હતી. જે નામો છે તેમાં કુંવરજીભાઈ બાવળિયા, હકુભા જાડેઝા, જે.વિ.કાકડિયા વગેરે. તેઓ શું કરશે તે એક યક્ષ પ્રશ્ન છે.
હમણા એક સાવ સુપર અને પ્રિમિયમ ભોળા રાજકિય કાર્યકર પુછતો હતો કે કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા આ નેતાઓને જો ભાજપ ટિકીટ ન આપે તો તેઓ ફરી કોંગ્રેસમાં જોડાઈ જાય ખરા? કારણ કે કોંગ્રેસમાં હતા ત્યારે મોદી સાહેબ અને ભાજપને બેફામ રીતે ભાંડતા હતા. જેવા કોંગ્રેસમાં ગયા કે ભાજપના ગુણગાન ગાઈને કોંગ્રેસને ભાંડવા લાગ્યા. આ ભોળા કાર્યકરે કહ્યું કે આ નેતાઓને ફરી કોંગ્રેસમાં જવામાં કોઈ શરમ કે સંકોચ એવુ લાગે ખરું ?મે કહ્યું કે યાર, આ નેતાઓ પર ઈશ્વરની સીધી કૃપા હોય છે. તેઓ જે પક્ષમાં જોડાય એ ગંગાથી પણ વધુ શુધ્ધ અને પવિત્ર બની જાય અને જે પક્ષ છોડે તે દુષ્ટ અને બોગસ પાર્ટી બની જતી હોય છે. નેતાઓને શરમ કે સંકોચ રાખવા પોસાય નહી, રાજનીતીમાં કોઈ શરમ કે સંકોચ ના હોય.
અંતે, પ્રશાંત કિશોર કોંગ્રેસમાં નહી આવે તેવી ઓફિશિયલ જાહેરાત થઈ ગઈ છે. પ્રશાંત કિશોરના ખભા પર બેસીને કોંગ્રેસમાં આવવા માંગતા નરેશ પટેલ હવે શું કરશે તે નક્કી નથી. નરેશ પટેલ પણ ગજબના માણસ છે, પોતે જ કહ્યા કરે છે કે હુ કન્ફ્યુઝ છું. આ સુપર કન્ફ્યુઝ નરેશ પટેલ કોંગ્રેસને કન્ફ્યુઝનમાંથી બહાર કાઢશે કે સમુળગી કોંગ્રેસને કન્ફ્યુઝ કરશે તે પણ રાજકિય વિશ્લેષકોને વિચારતા કરી મુકે તેવો કોયડો છે.ખેર, આવતા અઠવાડિયા ફરી મળીશું. ત્યાં સુધી ગરમીથી બચતા રહો. નજીકમાં એસી. સિનેમાધર હોય તો કેજીએફ ચેપ્ટર -2 જોઈ આવો. મે નથી જોઈ પણ ઘસારો ખુબ છે એટલે કદાચ જોવા લાયક ફિલ્મ હશે. અસ્તુ. લેખક પ્રસિધ્ધ ટીવી જર્નાલિસ્ટ અને ટીવી પર આવતા સૌથી લોકપ્રિય કાર્યક્રમ ભાઈ ભાઈના એન્કર છે.
વાંચકોની પ્રતિક્રિયા માટે વોટ્સ એપ નંબર – 9909941536