આગામી વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે વિવિધ કચેરીઓ તેમજ સરકારી કચેરીમાં કામ કરતા કર્મચારીઓના પડતર પ્રશ્નોના નિરાકરણ માટે હવે બાંયો ચઢાવવવામાં આવી રહી છે ત્યારે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે શિક્ષકોનું આંદોલન ચાલી રહ્યું છે, જેમાં શિક્ષકોના વિવિધ પડતર પ્રશ્નોને લઇને છેલ્લા ઘણાં સમયથી આંદોલન ચાલે છે, જેમાં આજે અરવલ્લી જિલ્લાના 1 હજાર કરતા વધારે શિક્ષકોએ ગાંધીનગર ખાતે કૂચ કરી છે.મોડાસા તાલકા પ્રાથમિક શિક્ષક સંઘ તેમજ અરવલ્લી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની અલગ અલગ ટીમ સોમવાર વહેલી સવારે ગાંધીનગર ખાતે જવા માટે રવાના થઇ છે. શિક્ષકોની મુખ્ય માંગ છે કે, બંધ કરી દેવામાં આવેલી પેન્શન યોજના ફરી ચાલુ કરવામાં આવે, એટલે કે, જુની પેન્શન યોજના લાગુ કરવાની ઉગ્ર માંગ સાથે શિક્ષકો લડી લેવાના મુડમાં જોવા મળી રહ્યા છે. મોડાસા ખાતેથી એક હજાર જેટલા શિક્ષકો ગાંધીનગર ખાતે જવા માટે રવાના થયા છે, જેમાં જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાંથી શિક્ષકો પોંચ્યા હતા, અને સુત્રોચ્ચાર કર્યા હતા.
માંગ નહીં સંતોષાય તો ઉગ્ર આંદોલનની ચિમકી
શિક્ષક સંઘના આગેવાનોએ જણાવ્યું હતું કે, સોમવાર 9 મે ના રોજ એક લાખ કરતા વધારે શિક્ષકો ગાંધીનગર ખાતે પહોંચવાના છે, અને રાજ્ય શિક્ષણ સંઘના આદેશથી આ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. તેમણે જણાવ્યું કે, અત્યાર સુધીમાં શિક્ષકોએ સરકારના તમામ કાર્યો કર્યા છે, પણ તેઓની માંગ સંતોષવામાં આવી નથી. આ સાથે જ તેમણે જણાવ્યું કે, જો સરકાર માંગ નહીં સંતોષે તો રાજ્ય શિક્ષણ સંઘ જે આદેશ કરશે તે મુજબ કાર્યક્રમો આપવાની શિક્ષકોએ તૈયારી દર્શાવી છે.
સાંભળો સરકાર શિક્ષકોની વેદના