આજે સમગ્ર વિશ્વમાં આઠમા યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. વિશ્વ યોગ દિવસની ઉજવણીનો મુખ્ય કાર્યક્રમ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કર્ણાટકના મૈસુરમાં મૈસુર પેલેસ ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સાથે 15,000 લોકોએ ઊજવણીમાં ભાગ લીધો હતો અને વિવિધ યોગાસનો કર્યા હતા. PM મોદીએ વિશ્વ યોગ દિવસની શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય તથા આંતરાષ્ટ્રીય સ્તરે વિશ્વ યોગ દિવસ ઊજવવામાં આવી રહ્યો છે. જે હવે વૈશ્વિક પર્વ બની ગયું છે.

યોગ કોઈ વ્યક્તિ વિશેષ નથી પરંતુ સંપૂર્ણ માનવતા માટે છે. તેથી આ વખતે યોગ દિવસની થીમ યોગા ફોર હ્યુમેનિટી રાખવામાં આવી છે. આ થીમને સમગ્ર વિશ્વમાં ફેલાવવા માટે પ્રધાનમંત્રીએ યુનાઈટેડ નેશનનો આભાર માન્યો હતો. પ્રધાનમંત્રીએ નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, યોગ આજે ફક્ત જીવનનો હિસ્સો નહિં પરંતુ જીવન જીવવાનો માર્ગ બની ગયો છે. તેને કોઈ એક જગ્યા અથવા સ્થાન સુધી મર્યાદિત રાખવો જોઈએ નહિં. આ અંગે કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીના નેતૃત્વ અને પ્રસાયોને કારણે આજે સમગ્ર વિશ્વમાં યોગને માન્યતા આપવામાં આવી રહી છે. પ્રધાનમંત્રીનો વિઝન વ્યક્તિ, સમુદાય અને રાષ્ટ્ર તથા દેશ માટે આરોગ્ય ક્ષેત્રે ધ્યાન કેન્દ્રિત કરીને શાંતિ અને સૌહાર્દ સ્થાપિત કરવાનો છે.

PM મોદીએ જણાવ્યું કે, ‘દેશ આઝાદીની 75મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યો છે, દેશના 75 ઐતિહાસિક કેન્દ્રો પર એક સાથે યોગ કરવામાં આવી રહ્યા છે. વિશ્વના લોકો માટે, યોગ માત્ર ‘જીવનનો ભાગ’ નથી, પરંતુ હવે તે ‘જીવનનો માર્ગ’ બની રહ્યો છે.





