અરવલ્લી જિલ્લામાં દર વખતની જેમ આ વર્ષે પણ સ્વામી વિવેકાનંદને ભૂલાયા છે. સ્વામી વિવેકાનંદની પુણ્યતિથી પર સમગ્ર વિશ્વ તેઓને યાદ કરી રહ્યું છે ત્યારે અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા ખાતે આવેલી પ્રતિમા પર કોઇ જ રાજકીય નેતા ફરક્યા નહીં. મોડાસા નગર પાલિકા ટાઉન હોલ નજીક સ્વામી વિવેકાનંદની પ્રતિમા વર્ષોથી મુકાઈ છે, જે-તે વખતે રાજકીય નેતાઓ દ્વારા પ્રતિમાનું અનાવરણ કરાય છે, પણ વર્ષે દહાડે પણ તેમને યાદ કરવામાં આળસ આવતી હોય તેવું લાગે છે.
સ્વામી વિવેકાનંદને પુષ્પાંજલિ અર્પણ કરવા પહોંચ્યા, સામાજિક સંસ્થાના આગેવાનો
આજે સ્વામી વિવેકાનંદની પુણ્યતિથી છે ત્યારે મોડાસાના મહાલક્ષ્મી ટાઉન ખાતે આવેલી સ્વામી વિવેકાનંદની પ્રતિમા પર જાયન્ટ ગૃપ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. જાયન્ટ્સ ગૃપના આગેવાનો મહાલક્ષ્મી ટાઉન હોલ ખાતે પહોંચ્યા હતા, જ્યાં સ્વામી વિવેકાનંદની પ્રતિમાને શુદ્ધ જળથી સ્વચ્છ કરી સાફ-સફાઈ કરી હતી, અને ત્યારબાદ તેમને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. સ્વામી વિવેકાનંદને પુષ્પાંજલિ અર્પણ કરવા માટે જાયન્ટ ગૃપના આગેવાનો નિલેશ જોષી, પ્રવિણભાઈ પરમાર, વિનોદભાઈ પટેલ, સમગ્ર શિક્ષા અભિયાનના કો-ઓર્ડિનેટર અમિત કવિ, તેમજ સામજિક સંસ્થાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
સરકારી અધિકારીઓ અને વિવિધ પક્ષોના નેતાઓ સ્વામી વિવેકાનંદને ભૂલી જતાં નાગરિકોમાં રોષ જોવા મળ્યો હતો.